*જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરના 3 આતંકવાદીઓને દબોચ્યા

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પુલવામામાં પોલીસે CRPF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લશ્કરના 3 આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ વાગામના રહેવાસી અમીર નઝીર હજાર, પુલવામાના ચિનાર બાગના રહેવાસી સુહેલ અહેમદ ભટ અને નાસિર હુસૈન તરીકે થઈ છે. ત્રણેય આતંકવાદીઓ આરીફ હજારના સહયોગી તરીકે કામ કરતા હતા.

આ સાથે સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી એક ગ્રેનેડ અને AK-47 ગોળીઓના 13 રાઉન્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ પુલવામા પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આજે અવંતીપોરામાં આતંકવાદીઓના 4 સહયોગીઓની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના સાથીઓની ઓળખ આકિબ મંજૂર બટ્ટ, મુદાસિર અહેમદ બટ્ટ, ગુલામ મોહમ્મદ અહંગર (તમામ રહેવાસી હાફુ ત્રાલ) અને વારિસ બશીર નઝર (શેખ મોહલ્લા ચેવા ઉલ્લાર, ત્રાલ) તરીકે થઈ છે. પોલીસને તેની પાસેથી ત્રણ ગ્રેનેડ પણ મળી આવ્યા છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ સંબંધમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ રવિવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું હતું કે તેણે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ માટે કામ કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરીને જૈશ-એ-મોહમ્મદ જૂથનો પર્દાફાશ કર્યો છે.

Scroll to Top