મહાપંચાયતમાં શહીદોના પરિવાર, સામાજિક સંસ્થાઓ ને આમંત્રણ ન અપાતા દિનેશ બાંભણીયા હાર્દિક પર વિફર્યા

હાર્દિક પટેલ દ્વારા આજે ‘પાટીદાર ન્યાય મહાપંચાયત’ યોજવામાં આવી છે ત્યારે તેના સાથીઓ અને સમાજ દ્વારા જ આ કાર્યક્રમનો બહિષ્કાર કરાતા આ કાર્યક્રમ ખરેખર કોંગ્રેસ મહાપંચાયત બની રહેશે તેવું લાગી રહ્યું છે કારણકે સમાજ, સાથીદારો અને પાટીદાર ધારાસભ્યો જ ગેરહાજર રહેવાના હોવાથી ફક્ત કોંગ્રેસ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જ હાજર રહેશે તેવો અંદેશો છે.

પાટીદાર આંદોલનના નેતા અને હાર્દિકના અંગત મિત્ર એવા દિનેશ બાંભણીયા એ જ હવે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે, કારણકે હાર્દિક પટેલ દ્વારા શહીદોના પરિવાર અને સામાજિક સંસ્થાઓ ને આમંત્રણ ના અપાતા તેઓ રોષે ભરાયા છે. દિનેશ બાંભણીયા એ પત્ર દ્વારા જણાવ્યું છે કે- “પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આવવા માટે અમે ઉત્સાહ સાથે સહભાગી થવા આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં અમને જાણ થઈ કે શહીદોના પરિવારોને, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ને કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી તેથી અમો દુઃખ સાથે પરત ફરી રહ્યા છીએ”

દિનેશ બાંભણીયા એ હાર્દિકને બેનરોમાં અને સ્ટેજ પર ખુદના મોટા ફોટા છપાવવા અંગે આડે હાથ લેતા કહ્યું હતું કે હાર્દિકે એના સ્વભાવ મુજબ ખુદની પ્રતિષ્ઠા વધારવા માટે ખુદને બધાથી મોટો બતાવી રહ્યો છે. તેઓએ હાર્દિકને ચુનૌતી પણ આપી છે કે જો હાર્દિક નૈતિકતા થી પાટીદાર સમાજને અનામત અપાવવા માંગતો હોઈ તો સ્ટેજ પરથી શપથ લે કે ભાજપ હોઈ કે કોંગ્રેસ જ્યાં સુધી અનામત ના મળે ત્યાં સુધી કોઈ પાર્ટી સાથે હાથ નહીં મિલાવું. આંદોલનના સમયમાં જેણે ઘરનું વ્યક્તિ ખોયું છે એવા શહીદ પરિવારને અને લડાઈમાં સાથે રહેનાર સંસ્થાઓ ને આમંત્રણ નહીં પરંતુ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોને બોલાવીને હાર્દિક રાજનીતિક સ્વાર્થ સાધી રહ્યો છે તેવો દિનેશ બાંભણીયા એ આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે હાર્દીકમાં તેના સાથીઓના સવાલ નો જવાબ દેવાની હિંમત નથી.

જે કોંગ્રેસ ને ખોળે આજે હાર્દિક રમી રહ્યો છે એ જ કોંગ્રેસે ચુંટણી સમયે સ્પષ્ટ કરી દીધું હતું કે OBC અનામત પાટીદારોને મળે તેમ નથી તો એ કોંગ્રેસ માટે હાર્દિક સમાજને કેમ હાથો બનાવે છે તેવો સવાલ સમાજના લોકો કરી રહ્યા છે. દિનેશ બાંભણીયા એ હાર્દિકને સમર્થનને લઈને કહ્યું હતું કે જયારે હાર્દિકે સમાજ માટે વાત કરી ત્યારે મે અને મારા જેવા હજારો યુવાનોએ એને સમર્થન આપ્યું હતું પરંતુ હવે તે પોતાનો રાજનીતિક હિત સાધી રહ્યો છે માટે એ અંગે અમે એને સમર્થન ના દઈ શકીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top