સરકારે કરોડો ના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું ઓછું હતું તો તેમાં બાગ-બગીચા બનાવી તેમાં શુ શોભન કર્યું અને હવે ત્યાં લેઝર શો પણ ચાલુ કર્યું છે. સરદાર પટેલ ની જયંતિ માં હવે થોડાજ દિવસો રહ્યા છે ત્યારે કેવડિયા નજીક ના ગામનો એક ચોંકાવનાર કિસ્સો બહાર આવ્યો છે.
અહીં આ ગામમાં અત્યાર સુધી વીજ પ્રવાહ જ નથી આવ્યો. આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થશે.એ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરાશે અને અહીં સતત ચોથી વખત નરેન્દ્ર મોદી આવવાનાં છે.
માનનીય વડાપ્રધાન ના હસ્તે અહીં સરદાર જયંતિ ની ઉજવણી થવાની છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 31મી ઓક્ટોબર 2019 ના દિવસે પીએમ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસ પર્વ ઉજવાશે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને અલગ અલગ પ્રકારની લાઈટોથી શણગારાશે, તંત્ર દ્વારા પણ એ વિસ્તારને સજાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અલગ અલગ લાઈટોથી જગમગશે તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું જ જુનારાજ ગામ કે જ્યાં લોકો છેલ્લા ઘણા દિવસોથી તંત્રને લીધે અંધારા વચ્ચે જીવવા મજબૂર થયા છે.
આખા ગામમાં આ દિવાળી ના તહેવાર માં ઝગમગ હોવું જોઈએ ત્યારે ત્યાં ઘનઘોર અંધારું થઈ ગયું છે. ઘરે ઘરે વીજળીના ગુજરાત સરકારના દાવા પણ પોકળ સાબિત થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર અંકિત જરૂર થયો છે પણ એ જ વિસ્તારના અંતરિયાળ અમુક ગામો વિકાસથી વંચિત રહી ગયા છે એમ કહેવું બિલકુલ ખોટું નથી.
નર્મદા જિલ્લાના અંતરિયાળ જુનારાજ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી અનિયમિત વીજ પુરવઠાને લીધે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એ ગામના લોકોએ નર્મદા જિલ્લા કલેકટર અને જુનારાજ ગામના જ વતની એવા ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાને લેખિત રજુઆત પણ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ વીજ કંપનીના અધિકારીઓની બેદરકારીના કારણે અમે ઘણા દિવસોથી અંધારામાં જીવીએ છે. વારંવાર કહેવા છતાંય કોઈ કડક પગલું ઉઠાવવામાં આવતું નથી.
ત્રાસી ગયેલ ગામ જનો જણાવે છે કે અમારા ગ્રામજનોનું વિજબીલ તો નિયમિત આવે જ છે પણ અનિયમિય વીજ પુરવઠા બાબતે વારંવાર લેખિત-મૌખિક ફરિયાદ નોંધાવવા છતાં કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી, અમારું ગામ ઊંડાણમાં આવતું હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ અને હેલ્પરો ફોલ્ટ રીપેર કરવા અહીંયા આવતા જ નથી.
એક મહિનામાં વધુમાં વધુ 6-7 દિવસ જ લાઈટ બરાબર ચાલે છે. જેથી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાય એવી અમારી માંગ છે. જો હવે તાત્કાલિક રિપેરીંગની કોઈ કાર્યવાહી નહિ થાય તો અમે ધરણા કરતા પણ ખચકાઈશું નહિ. હવે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ના કરવાનું કરીશું.