નિયમિત ચાલતા PMના કાર્યક્રમથી પ્રજાની એસટી અનિયમિત, લોકો થયા હેરાન

નવસારી: વલસાડ જિલ્લામાં જુજવા ખાતે આયોજીત વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમ માટે નવસારી એસટી ડેપોની 30 બસ ફાળવાતાં હજારો મુસાફરો બુધવાર સાંજથી આજે ગુરૂવાર સાંજ સુધી અટવાયા હતા. ગુરૂવારે દિવસભર નવસારી ડેપોમાં બસોની અવરજવર ઓછી રહી હતી અને મુસાફરો બસ વ્યવહાર અનિયમિત થતા અટવાયેલા જોવા મળ્યા હતા.બીલીમોરા ડેપોની પણ 30 ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી. આથી અહીંના મુસાફરો પણ અટવાયા હતા. બે દિવસ નવસારી બીલીમોરા બસ ડેપોની સેવા ખોરવાતા મુસાફરોને અટવાવા સાથે બંને ડેપોએ લાખોની આવક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.

નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનું આયોજન આજે ગુરૂવારે વલસાડ જિલ્લાનાં જુજવા ખાતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કુલ 1 લાખથી વધુ લોકોને ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં નવસારી પંથકમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જુજવા લઇ જવાનું આયોજન કરાયું હતુ. કાર્યક્રમમાં જવા માટે નવસારી એસટી ડેપોની કુલ 86 બસોમાંથી 30 બસો (35 ટકા બસો) ફાળવી દેવામાં આવી હતી. ઘણી બસો ફાળવી દેવાતાં નવસારી ડેપોનો બસ વ્યવહાર રીતસર ખોરવાઇ ગયો હતો.

ગુરૂવારે કાર્યક્રમ હોઇ બુધવાર સાંજથી જ બસો લઇ લેવામાં આવી હતી. જેથી બુધવારે સાંજથી જ બસવ્યવહારને અસર થઇ ગઇ હતી. ગુરૂવારે તો દિવસભર બસોની અવર જવર ડેપો ઉપર ઓછી જોવા મળી હતી. આખો દિવસ મોટી સંખ્યામાં મુસાફરો બસની રાહ જોતાં અટવાયેલા જોવા મળ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top