હાર્દિકના આમરણાંત ઉપવાસને લઇ કોંગ્રેસના ધારાસભ્યએ CM રૂપાણીને લખ્યો પત્ર

અમદાવાદમાં અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગણી સાથે શરૂ કરાયેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. દરરોજ કોઈ નેતા કે, ખેડૂતો કે મંત્રીઓ હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે ત્યારે રિબડિયાએ પત્ર લખી હાર્દિકની માગ સ્વિકારી પારણા કરાવવા રજૂઆત કરી છે.

આ સાથે જ રિબડિયાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો આગામી 24 કલાકમાં હાર્દિકની માગણીઓ સ્વિકારવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા પર આવી જશે. સરકારે મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.

આ ઉપરાંત આજે પૂર્વ IPS સંજીવ ભટ્ટે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. જોકે પાંચમા દિવસે હાર્દિકની તબિયત લથડી છે. ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકનું બે વાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જ્યારે હાર્દિકને ડોકટરે એડમિટ થવાની સલાહ આપી હતી.

હાર્દિકનો ઉકેલ લાવવા સરકાર ગંભીર

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ છેલ્લા પાંચ દિવસથી પોતાના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ હાર્દિકની તબિયત લથડી રહી છે, તો બીજી બાજુ હાર્દિકના નિવાસસ્થાન અને ગુજરાતભરમાં તેના સમર્થકોની સંખ્યા પણ ઘટી રહી છે. હાર્દિક પટેલ સરકાર માટે માથાના દુખાવા રૂપ બની ગયો હોવાથી તેનો ઉકેલ કરવા માટે સરકાર ગંભીર વિચારણા કરી રહી છે.

પાટીદાર વિસ્તારો પર પોલીસની બાજ નજર

હાર્દિક પટેલના ઘરે માંડ 25 સમર્થકો છે, ત્યારે હાર્દિકની તબિયત લથડી હોવાના નામે પોલીસ મધરાતે હાર્દિકને ઉઠાવી લે એવી શક્યતાઓ છે, કેમ કે આ અગાઉ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં ઉપવાસ પર ઉતરેલા બાબા રામદેવને મધરાતે પોલીસ ઉઠાવવા ગઈ હતી. આ જ પેટર્નથી હાર્દિકને ઉપવાસની છાવણીમાં પોલીસ ઉઠાવવાની તૈયારીઓ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના અનુસંધાને હાર્દિકના ઘરની આસપાસ પોલીસ કાફલો વધારી દેવામાં આવ્યો છે અને ચેકિંગ પણ વધુ કડક કરવામાં આવ્યું છે. જેની સાથે સાથે પોલીસ પાટીદાર વિસ્તારો પર પણ બાજ નજર રાખી રહી છે.

હાર્દિકનું રૂટિન ચેકઅપ

સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પી.કે. સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું. હાર્દિકનો ચાર દિવસમાં 1 કિલોગ્રામ વજન ઉતરી ગયું છે. યુરિનના સેમ્પલને આધારે ડૉક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવી છે. ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો તેની કિડની પર અસર થઈ શકે છે. જેમાં હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેશર છે, જ્યારે વજન – 74.6 કિલો છે. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિક્વિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા, ત્રીજા અને ચોથા દિવસે મેડિકલ ટીમે તેનું ચેકઅપ કર્યુ હતું. તેના ડિટેઈલ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું.

હાર્દિક ઊભો થઈને ચાલી શકતો નથી

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ દરમિયાન ગઈકાલે તેનો મેડિકલ રિપોર્ટ આવ્યો હતો. તેમાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપવામાં આવી હતી અને જ્યુસ અને ફ્રૂટ લેવા કહેવાયું હતું. તેના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. ત્યારે હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે અને ઊઠીને ચાલી પણ શકતો નથી. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top