મહારાષ્ટ્ર, લોકો ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો લોકડાઉન કરાશે: અજીત પવાર

  • દેશમાં કોરોનાનું આગમન થયું ત્યારથી કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર મોખરે છે, આ સ્થિતિમાં એક વર્ષ પછી પણ કોઈ મોટો ફેરફાર થયો નથી.

કોરોનાના વધતા જતા સંક્રમણથી દેશમાં હાહાકાર છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ એટલુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે કે, રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, જો લોકો કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરે તો રાજ્યામં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે સરકારને મજબૂર થવુ પડશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનુ આગમન થયુ ત્યારથી કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર મોખરે રહ્યુ છે.આ સ્થિતિમાં એક વર્ષ પછી પણ કોઈ મોટો ફેરફાર થયો નથી.હજી પણ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જ આવી રહ્યા છે.આ સંજોગોમાં હવે રાજ્ય સરકારને ના છુટકે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટે ધમકી આપવી પડી છે.

જોકે એ પછી પણ મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરશે કે કેમ તે સવાલ છે.દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એક બેઠક પણ કરવાના છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 59000 નવા કેસ સામે આવી ચુક્યા છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના પોતાનું ખતરનાક સ્વરૂપ બતાવી રહ્યો છે. તેવામાં મુંબઈમાં કોર્પોરેશને રોજના 10 હજાર કેસો આવે તો પણ સ્થિતિને પહોંચી વળાય તે માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંઘ ચહલે આ મામલે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ ગભરાવવાની જરુર નથી.

મુંબઈમાં ગુરુવારની સ્થિતિ અનુસાર, 13,773 કોરોના બેડ હતા, જેમાંથી 5,140 હજુય ખાલી છે. જોકે, કોર્પોરેશને તેની સંખ્યા વધારીને આગામી 15 દિવસમાં 21,000 જેટલી કરવાનું નક્કી કર્યું છે. શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડને સાંકળી લઈને આ સંખ્યામાં વધારો કરવામાં આવશે.

કોર્પોરેશનની ગણતરી છે કે, આગામી દિવસોમાં માત્ર મુંબઈમાં જ રોજના કેસોનો આંકડો દસ હજાર સુધી પહોંચી શકે છે. જેમાંથી 15 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની જરુર ઉભી થાય તેવી શક્યતા છે. બેડ ઓક્યુપન્સીની 14 દિવસની સાઈકલને ગણતરીમાં લેતા આગામી દોઢથી બે મહિના માટે શહેરમાં ઉપલબ્ધ બેડની સંખ્યા 21 હજાર સુધી લઈ જવી જરુરી છે.

બીએમસીના કમિશનરનો દાવો છે કે, સ્થિતિ કાબૂમાં છે, અને સમય જતાં કોરોના પર પણ ચોક્કસ કાબૂ આવી જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી દિવસોમાં રોજેરોજ કરાતા ટેસ્ટની સંખ્યા વધારીને 60 હજાર સુધી લઈ જવાનો કોર્પોરેશનનો ટાર્ગેટ છે. અત્યારસુધીમાં 10 લાખ લોકોને રસી પણ આપી દેવાઈ છે, અને રોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે.

કમિશનરે લોકોને પણ કોરોનાને ગંભીરતાથી લઈ બીએમસીને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે 40,400 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 5,458 લોકો પોઝિટિવ નીકળ્યા હતા, આમ પોઝિટિવિટીનો રેટ 13.5 ટકા પર પહોંચી ગયો છે. ગુરુવારે જે કેસ નોંધાયા તેમાંથી 83 ટકા લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા દેખાઈ રહ્યા. બુધવારે બીએમસીએ 47,000 ટેસ્ટ કર્યા હતા, અને ત્યારે પણ નવા કેસોનો આંકડો 5000થી વધુ રહ્યો હતો. તેમાં પણ પોઝિટિવિટી રેટ 12 ટકા હતો અને કોઈ લક્ષણ ના ધરાવતા પોઝિટિવ લોકોનું પ્રમાણ 84 ટકા હતું. શહેરમાં ગુરુવારે 10 જ્યારે બુધવારે છ લોકોના કોરોનાથી મોત થયા હતા.

મુંબઈમાં 10 ફેબ્રુઆરીથી કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ત્યારથી અત્યારસુધી 200થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ મુંબઈમાં રોજના સરેરાશ 4.6 મોત થાય છે. મુંબઈ મ્યુ. કમિશનરનું કહેવું છે કે, કેસ વધી રહ્યા છે, પરંતુ મૃત્યુદર ખૂબ જ ઘટી ગયો છે. તેવામાં હાલ કોર્પોરેશનની જે તૈયારી છે તેને જોતાં ગભરાવવાની કોઈ જરુર નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top