કોરોનાના કહેરથી દેશને તેમ છતાં રાહત મળતી જોવા મળી રહી નથી. દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને તે આજ દિવસ વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. શનિવારે દેશમાં 3,49,691 કેસ નોંધાયા છે અને 2,767 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં 7500 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરાના સંક્રમિતની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. તેની સાથે, સંક્રમણના કુલ કેસ વધીને 1,69,60,172 પર પહોંચી ગયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. તેમાંથી 1,40,85,110 દર્દીઓ કોરોના સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને 1,92,311 લોકોએ અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે
મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે અને દરરોજ 65 હજારથી વધુ કેસ સામે આવી રહયા છે. શુક્રવારના અહીં 773 લોકોનાં મોત થયાં હતાં. આ પછી દિલ્હી રહ્યું હતું, જ્યાં કુલ 357 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં દરરોજ 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છત્તીસગઢ પણ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે અને અહીં દરરોજ કોરોનાના 15 હજારથી વધુ કેસ આવી રહ્યા છે.
12 રાજ્યોમાં પરિસ્થિતિ ખરાબ
મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં સંક્રમણના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ રાજ્યોમાં કુલ 74.15 ટકા કેસ
દેશમાં સંક્રમણના કુલ કેસોમાંથી 74.15 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનના છે. જ્યારે 66.66 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળમાં સારવાર હેઠળ રહેલા છે.