કોરોનાવાયરસ સતત લોકોનો ભોગ લઇ રહ્યો છે. ફિલ્મ એડિટર અજય શર્મા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત હતા, તેમને પણ આજે અંતિમ શ્વાસ લઇ લીધા છે. અજય ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા, તેમના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે. બોલિવૂડના ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર ટવીટ કરીને અજય શર્માને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, તેમના નિધનને ફિલ્મ જગતની એક મોટી ખોટ ગણાવી છે.
બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ પર અજય શર્મા આ દિવસોમાં કામ કરી રહ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્સિજનનું સ્તર 83 પર પહોંચી ગયું હતું. અજયનું કોરોનાથી મોતની પુષ્ટિ તેમના નજીકના મિત્ર દ્વારા કરવામાં આવી છે. ‘જગ્ગા જાસુ’, ‘કારવાં’, ‘લુડો’, ‘ઇન્દુ કી જવાની’, ‘હાઇજેક’, ‘પ્યાર કા પંચનામા 2’, ‘તુમ મિલે’ અને વેબ સિરીઝ ‘બંદિશ’ જેવા પ્રોજેક્ટ્સમાં એડિટિંગ કરનાર અજયના નિધનથી એક વખત ફરીથી બોલીવુડમાં શોક લહેર છવાઈ ગઈ છે.
અભિનેત્રી શ્રિયા પિલગાંવકરે ટ્વીટ કહ્યું છે – ‘હું તૂટી ગઈ છું. અમે આજે અજય શર્માને ગુમાવી દીધા છે. તે માત્ર એક મહાન સંપાદક જ નહીં પરંતુ હીરો હતા. આ બરાબર થયું નથી.’ નિખિલ તનેજાએ લખ્યું છે કે, ‘જ્યારથી સમાચાર મળ્યા છે ત્યારથી હું આઘાતમાં છું’. જ્યારે તેજેન્દ્રસિંહને વિશ્વાસ થઈ રહ્યો નથી કે, અજયનું અવસાન થયું છે.
અજયે ‘બર્ફી’, ‘યે જવાની હૈ દિવાની’, ‘અગ્નિપથ’, ‘કાઇ પો ચે’, ‘લાઇફ ઇન એ મેટ્રો’, ‘ગોરી તેરે પ્યાર મેં’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ માં આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કર્યું છે.