દાહોદ શહેરની આપઘાતની ઘટના સામે આવી છે. ગઇ કાલે દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં પંખે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર યુવતીને શહેરના જ એક યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ બંધાયેલો હતો. તેમ છતાં પ્રેમીએ તેને વારંવાર શરીર સુખ ભોગવ્યા બાદ લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો જેના કારણે તેણે આપઘાત કરી લીધો હતો. યુવતીના આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, 24 વર્ષીય યુવતીને તેના જ શહેરના 35 વર્ષીય યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ બંધાયેલો હતો. યુવતી છેલ્લા થોડા સમયથી યુવકને લગ્ન કરવા માટે વિનંતી કરી રહી હતી. તેમ છતાં યુવક તેને ખોટા વચન આપી તેની સાથે મજા માણી રહ્યો હતો. જ્યારે લગ્નની વાત ટાળી નાખતો હતો. યુવક પોતે પરણિત હતો અને એક બાળકનો પિતા પણ છે તેવી જાણકારી સામે આવી છે.
આ દરમિયાન ગઈ કાલે યુવતી પ્રેમીને મળવા ગઈ અને ફરીથી તેણે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમ છતાં યુવકે લગ્ન માટે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારે તેમને જણાવ્યું હતું કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી શકે છે, નહીં તો તું મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. આ વાતના કારણે યુવતીને ખૂબ જ આઘાત લાગ્યો અને તેણે આપઘાત કરવાનો વિચાર કરી લીધો હતો. ત્યાર બાદ ઘરે આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી તેણે આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણકારી થતા જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. અને મૃતક યુવતીની લાશને પંખા પરથી નીચે ઉતારી પોસ્ટમોટમ માટે નજીકના દવાખાને મોકલી દીધી હતી. મૃતક યુવતીના ઘર પર પરિવારજનો સહિત સમાજના લોકોની ભીડ ઉમટી આવી હતી. આ બાબતમાં યુવતીના પિતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક સામે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે આ બાબતમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરવાનું શરુ કરી દીધું છે.