કોરોનાની મહામારી દરમિયાન મૃતદેહોને નદીઓમાં ફેંકવાની અનેક ઘટના સામે આવી રહી છે. તેવી જ એક ઘટના યૂપીના ઉન્નાવમાં એક વખત ફરીથી જોવા મળી છે. ઉન્નાવ જિલ્લામાં ગંગામાં તરતી લાશો મળી આવતા હાહાકાર સર્જાઈ ગયો છે. અહીં ગંગાનો જળસ્તર વધવાના કારણે મૃતદેહો તેમાં તરતા થઈ ગયા હતા. અસંખ્ય મૃતદેહ નદી વચ્ચે રેતના ઢગલામાં દફનાવવામાં આવ્યા હતા.
વાસ્તવમાં પ્રદેશમાં છેલ્લા બે દિવસોથી ગંગા જળસ્તરમાં 44 સેન્ટીમીટરનો વધારો જોવા મળ્યો છે. જળસ્તર વધવાના કારણે રેતીના ઢગલા ડૂબી ગયા અને તે પાણીમાં ઓગળી ગયા હતા. ઉન્નાવના બક્સર ઘાટ પર મોટી સંખ્યામાં માનવ મૃતદેહોના અવશેષો પાણીમાં તરતા જોવા મળી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ઉન્નાવ જિલ્લામાં બે દિવસથી ગંગા નદીનું જળસ્તર વધ્યુ છે જેના કારણે ધોવાણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અનેક મૃતદેહો પરથી રેતી ધોવાઇ ગઈ છે. બીઘાપુરના આ બક્સર ઘાટ પર 15 દિવસ પહેલા નદીના કાંઠા અને ધારા વચ્ચે દફનાવવામાં આવેલ ડઝનેક મૃતદેહો તરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે, અગાઉ દફનાવવામાં આવેલ મૃતદેહો હવે પાણીના ધોવાણના કારણે બહાર આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં કોરોના અને અન્ય બિમારીઓના કારણે મોતોનો ગ્રાફ સતત વધ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, ફતેહપુર અને રાયબરેલી જિલ્લાની સીમા પર આવેલ બિઘાપુરના બક્સર સ્મશાન ઘાટ પર જગ્યા ઓછી પડવાના લીધે લોકોએ ગંગાના કાંઠે રેતીના ઢગલાઓમાં અસંખ્ય મૃતદેહો દફનાવી નાખ્યા હતા.