સ્વીટી મર્ડર કેસ: 2016 માં આ રીતે શરુ થઈ હતી અજય અને સ્વીટીની લવ સ્ટોરી

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા સ્વીટી પટેલ મર્ડર કેસને લઈને હવે ખુલાસો થઇ ગયો છે. આ બાબતમાં તેમના જ લીવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ જ ગુનેગાર નીકળ્યા છે. 2016 માં શરુ થયેલી તેમની લવ સ્ટોરી અને પાંચ જ વર્ષમાં આવેલો તેનો ભયાનક અંત આવ્યો છે. સ્વીટી ઉંમરમાં અજય દેસાઈ કરતાં ચાર વર્ષ મોટી હતી. તેના બે વખત લગ્ન પણ થઈ ચૂક્યા હતા, પરંતુ બંને ડિવોર્સ થયા હતા. જ્યારે બીજી તરફ અજય દેસાઈ પણ 2013 માં જ પોતાની પ્રથમ પત્નીથી છૂટાછેડા લઇ લીધા હતા.

2016 માં અજય દેસાઈ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. બંનેની મુલાકાત અમદાવાદ નજીકના એક સ્થળે યોજાયેલા કોઈ કાર્યક્રમ દરમિયાન થઈ હતી. સ્વીટીના બીજા ડિવોર્સ થયાને ખાસ સમય થયો નહોતો અને તે અમેરિકાથી થોડા દિવસો પહેલા જ પરત આવી હતી. અજય દેસાઈ સાથેની પ્રથમ મુલાકાતમાં જ તે તેના પ્રત્યે આકર્ષાઈ ગઇ હતી અને અજયને પણ સ્વીટી પ્રત્યે એવી જ લાગણીઓ થઈ ગઈ હતી. આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, સ્વીટીના પ્રથમ પતિએ પોતે કોઈ બીજી યુવતીના પ્રેમમાં હોવાનું કહીને તેને ડિવોર્સ આપી દીધા હતા અને બંને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા નાસી છૂટ્યો હતો.

પહેલા પતિથી છૂટા પડ્યા બાદ સ્વીટી પટેલે અમેરિકામાં બીજા લગ્ન કરી લીધા હતા. તેમ છતાં આ લગ્ન માંડ એક મહિનો જ ટકી શક્યા હતા. બીજા લગ્નના ગણતરીના સમયમાં જ સ્વીટી પતિથી છૂટી થઈને અમેરિકાથી પરત ફરી આવી હતી. અજય દેસાઈમાં સ્વીટીને સાચો પ્રેમ દેખાતા તેમની વચ્ચે મુલાકાતો શરુ થઈ ગઈ હતી અને દોસ્તી થોડા જ સમયમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ તો સ્વીટી અને અજયે સાથે જ રહેવાનું પણ શરુ કરી દીધું હતું, પરંતુ તેમણે કાયદેસર રીતે લગ્ન કર્યા નહોતા.

અજય દેસાઈ એક રુઢિચૂસ્ત કુટુંબમાંથી આવેલ વ્યક્તિ છે. તેણે પોતાના પરિવારજનોને ક્યારેય સ્વીટી સાથેના સંબંધોની જાણ કરી નહોતી. બીજી તરફ, તેના ડિવોર્સ થયા બાદ પરિવારજનો તેના માટે સમાજની કોઈ છોકરીની શોધખોળ કરી રહ્યા હતા. 2018માં પરિવારજનોએ અજય દેસાઈને સમાજમાં પરણી જવા માટે કહેવામાં આવ્યું હતું. એક તરફ સ્વીટી સાથેના સંબંધ, અને બીજી તરફ પરિવારજનોનું સમાજની યુવતી સાથે પરણી જવા માટેનું દબાણ હતું. આ સ્થિતિમાં અજય દેસાઈ બંને બાજુ પ્રેશરમાં આવી ગયા હતા. તેમણે સ્વીટીને આ અંગે વાત પણ કરી હતી, તે વખતે સ્વીટીએ તેમને સમાજમાં પરણી જવા અનુમતી આપી દીધી હતી. બીજી તરફ સ્વીટી પણ ઓસ્ટ્રેલિયા પોતાના બાળકો સાથે રહેવા જવાનું કહી રહી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વીટીએ અજયને સમાજમાં પરણી જવા માટે હા પાડતા અજય દેસાઈ દ્વારા લગ્ન કરી લેવામાં આવ્યા હતા. તેઓ પોતાની કાયદેસરની પત્ની સાથે વડોદરા શહેરમાં રહેવા લાગ્યા હતા. અજય દેસાઈને પોતાની કાયદેસરની પત્નીથી પણ બે વર્ષનું બાળક પણ છે. તેમ છતાં અજય દેસાઇના સમાજમાં લગ્ન કરી લીધા બાદ સ્વીટીનું મન બદલાઇ ગયું હતું અને તેણે ઓસ્ટ્રેલિયા જવાનું ટાળતા અજયને પોતે તેની સાથે જ રહેવા ઈચ્છતી હોવાની વાત જણાવી હતી. અજય પણ સ્વીટીને છોડવા તૈયાર નહોતા. અંતે બંનેએ ગાંધીનગરના રુપાલ ગામમાં એક મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરી લીધા હતા.

સ્વીટીના પરિવારજનોને તેના અજય દેસાઈ સાથેના સંબંધો અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ અજયનો પરિવાર આ અંગે જરાપણ જાણતો નહોતો. મંદિરમાં ફુલહાર કર્યા બાદ અજય અને સ્વીટી પતિ-પત્નીની માફક જ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન સ્વીટીએ એક દિવસ અચાનક ધડાકો કરતાં જણાવ્યું હતું કે, તેને પાંચમો મહિનો જઇ રહ્યો છે. આ વાતની જાણ થતાં જ અજય દેસાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ એ જ સમય હતો જ્યારે અજય અને સ્વીટી વચ્ચે મતભેદ ઉભા થયા હતા. અજયના બાળકની માતા બનનારી સ્વીટી હવે પોતાને અજયની કાયદેસરની પત્ની તરીકે હક્ક મળે તેવું ઈચ્છતી હતી અને આ બાબતના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા.

અંતે સ્વીટીએ 2019 માં અજય દેસાઈના સંતાનને જન્મ આપ્યો હતો. તેમને દીકરાનું નામ અંશ પાડ્યું હતું. અજય દ્વારા કરજણમાં સ્વીટી અને દીકરાને રહેવા માટે બંગલો ભાડે લેવામાં આવ્યો હતો અને તે નિયમિત અહીં અવરજવર પણ કરતો હતો. તેમ છતાં, તેની કાયદેસરની પત્ની અને સંતાન વડોદરા શહેરમાં એક ફ્લેટમાં વસવાટ કરતા હતા. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, સ્વીટી અજય પર સતત પોતાની કાયદેસરની પત્નીને ડિવોર્સ આપી તેની સાથેના લગ્ન રજિસ્ટર્ડ કરાવવા માટે દબાણ કરી રહી હતી. જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને અંતે 5 જૂનના રોજ અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Scroll to Top