અમદાવાદમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી મળતા ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટીસ કરી શરુ

જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી મળતા નવરાત્રીની શક્યતામાં થયો વધારો, ગરબાની પ્રેક્ટીસ શરુ૨૦૨૦ માં કોરોના આવ્યા બાદ તહેવારો પર ગ્રહણ લાગી ગયું હોય તે સમાન જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે જન્માષ્ટમી સહિત નવરાત્રી જેવા તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ત્યારે આ વર્ષે કેસ ઓછા થતા સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે પરવાનગી આપી દેવામાં આવી છે, જેથી હવે ગરબાના ખેલૈયાઓને નવરાત્રીને લઈને આશા જીવંત થઈ ગઈ છે અને તેમના દ્વારા ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે પણ વેઈટિંગ શરુ થઈ ગયું છે.

અમદાવાદ શહેરના બાપુનગર, નિકોલ, શાહીબાગ, બોડકદેવ, રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં ગરબાના ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. નવરાત્રીની પરવાનગીની આશા સાથે અનેક ખેલૈયાઓ દ્વારા ગરબા માટે પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે. જ્યારે કેટલાક લોકો દ્વારા ગરબા શીખવા માટે ક્લાસીસમાં નામ પણ નોંધાવવામાં આવ્યું છે.

તેની સાથે શહેરમાં નિકોલ, બાપુનગર અને શાહીબાગમાં સહિયર ગ્રુપના 800 જેટલા સભ્યો પણ રહેલા છે. 28 વર્ષથી ગરબા રમનાર ગ્રુપના સંચાલક અને સભ્યો દ્વારા પણ ઉત્સાહપૂર્વક આ વર્ષે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અલગ-અલગ 60 સ્ટેપ પર ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

તેની સાથે સહિયર ગ્રુપના સંચાલક દીપુ તિવારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારા ગ્રુપને 28 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અમદાવાદમાં અલગ-અલગ જગ્યાઓ પર ક્લાસ ચાલે છે. અમારા 800 થી 900 સભ્યો રહેલા છે. અમને જન્માષ્ટમી અને ગણેશોત્સવની પરવાનગી મળતા નવરાત્રિ માટે આશા જીવંત થઈ ગઈ છે, તેના કારણે સરકારની ગાઈડલાઇન્સની રાહ પણ જોઈ રહ્યા છે.

આ વર્ષે અમે 60 નવા સ્ટેપ પર ગરબા રમવાના છીએ, જેના માટે અત્યારથી પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. જો પરવાનગી આપવામાં આવશે તો નિયમોના પાલન સાથે ગરબા રમવાનું શરુ કરી દેશું.

Scroll to Top