‘બાળપણમાં મગરમચ્છ સામે લડતા સાહેબ હવે કેમ મગરથી ડરે છે?’: હાર્દિક પટેલ

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રમિતા “સ્ટેચ્યૂ ઓફ યુનિટી”નું લોકાર્પણ કરવાના છે. આ માટે સી-પ્લેનમાં આવીને નર્મદા ડેમ વિસ્તારના તળાવ નં-૩માં ઉતરાણ કરવાનું અગાઉ આયોજન કર્યું હતું.

પરંતુ નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-3માં વધુ પડતા મગર હોવાને કારણે પીએમની સી-પ્લેનની સવારી રદ કરવામાં આવી છે; તેવું ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ વડાપ્રધાન હવે હવાઈમાર્ગે અહીં પધારશે

જો કે, આ અંગે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે પીએમના સી-પ્લેન ઉતરાણ પર કટાક્ષ કરતા ટ્વિટ કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીજી ગુજરાતના નર્મદા કિનારે સી-પ્લેન ઉતારવાના હતા. પરંતુ નદીમાં મગરમચ્છ હોવાને કારણે હવે સી-પ્લેનથી ઉતરશે નહીં. મને હાલ જ યાદ આવ્યું કે, બાળપણમાં સાહેબ મગરમચ્છ સાથે લડી લેતા હતાં, એવું મીડિયાએ કહ્યું હતું. હવે તો બાળ નરેન્દ્ર પણ મોટા થઇ ગયા છે. તો પછી મગરમચ્છથી ડર કેમ?

હાર્દિકે અહીંથી જ નહિ અટકતા માત્ર આજથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એકતા યાત્રાનો પણ વિરોધ કર્યો છે. રાજકોટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, એકતા યાત્રામા રથની અંદર કોઈ ભાજપના નેતાનો ફોટો હશે તો તેનો વિરોધ કરવામાં આવશે.તેણે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top