કોરોનાની મહામારીને જોતા સતત બીજા વર્ષે અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રીના ગરબાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે પણ કોરોનાના કારણે ગરબા રમાશે નહીં. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાઓને જોતા 60 વર્ષથી ચાલનારી નવરાત્રી મુલતવી રાખવામાં આવી છે.
તેમ છતાં નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને રાબેતા મુજબ દર્શન, આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શનનો લાવો લઇ શકશે.
તેમ છતાં માં અંબાના નામથી જે ગરબા સમગ્ર દુનિયાભરમાં રમાઈ છે. તે માં અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વ નિમિતે ગરબા રમાશે નહીં. સરકાર દ્વારા 400 માણસોની પરવાનગી આપવામાં આવી છે પરંતુ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થઈ જાય તેવી શક્યતાને જોતા ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે.
નવ યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મહેશભાઈ પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું છે કે, 60 વર્ષથી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ નવયુવક પ્રગતિ મંડળ દ્વારા સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટસ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજવામાં આવશે.
તેની સાથે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જયારે મંદિરના ચાચરચોકમાં માત્ર માં અંબાની આરતી કરાશે. ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં.