મુંબઈ પોલીસે ખંડણીના આરોપમાં તપાસ શરૂ કર્યા બાદ NCB અધિકારી સમીર વાનખેડે ધરપકડના ભયનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, વાનખેડેએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે જો NCB અધિકારીની ધરપકડ કરવામાં આવશે, તો 72 કલાક એટલે કે તેના ત્રણ દિવસ પહેલા તેને આ વિશે જાણ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે વાનખેડે પર એક પછી એક અનેક આરોપો લગાવ્યા છે, જેમાં મોટી હસ્તીઓ પાસેથી ખંડણીના આરોપ પણ સામેલ છે.
મુંબઈ પોલીસે વાનખેડે સામે ભ્રષ્ટાચાર સંબંધિત ચાર કેસમાં તપાસ શરૂ કરી છે. ત્યારથી એવી આશંકા હતી કે મુંબઈ પોલીસ વાનખેડેની ધરપકડ કરી શકે છે. મુંબઈ પોલીસે વાનખેડે સામેના આરોપોની તપાસ માટે 4 સભ્યોની ટીમની પણ રચના કરી છે, જે તમામ કેસની તપાસ કરશે.
સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યનની મુક્તિના બદલામાં રૂપિયા 25 કરોડના સોદા પર વાટાઘાટો કરવાનો પણ આરોપ છે. આર્યન કેસમાં સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સૈલે ભૂતકાળમાં એફિડેવિટમાં દાવો કર્યો હતો કે આર્યનને છોડવા માટે 25 કરોડનો સોદો કરવામાં આવી રહ્યો હતો. જેમાં 18 કરોડમાં સહમતિ થઈ હતી. તેમાંથી 8 કરોડ રૂપિયા સમીરને આપવાના હતા.
Mumbai | Narcotics Control Bureau Zonal Director Sameer Wankhede approaches Bombay High Court over “apprehensions that Mumbai Police may arrest him.”
The arguments on the matter is being heard by the Division Bench of Bombay HC
— ANI (@ANI) October 28, 2021
તે જ સમયે, નવાબ મલિકે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોરોના રોગચાળા દરમિયાન સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માલદીવમાં હતો. તે જ સમયે વાનખેડે અને તેનો પરિવાર પણ ત્યાં હતો. તેણે દાવો કર્યો હતો કે વાનખેડેએ માલદીવમાં ફિલ્મી હસ્તીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા.
દરમિયાન તપાસ માટે NCBની પાંચ સભ્યોની ટીમ બુધવારે મુંબઈ પહોંચી છે. આ ટીમ વાનખેડે અને અન્ય અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે. જો કે, એનસીબીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વાનખેડે સામે કોઈ નક્કર પુરાવા નહીં મળે ત્યાં સુધી તે આર્યન ડ્રગ કેસની તપાસનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.