4 દીકરીએ પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર, દ્રશ્યો જોઇ રડ્યું આખું ગામ

હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં પુત્ર અરથીને કાંધ આપે છે, પરંતુ ગોંડલના મોટાદડવામાં ચાર પુત્રીઓએ પિતાને કાંધ આપતાં હ્યદયદ્રાવી દ્રશ્યો સર્જાયા હતા. નાનજીભાઇ વસાણીનું દુઃખદ અવસાન થતાં તેની સગી 2 દીકરીઓ અને સંબંધીની બે દીકરીઓએ મળી પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ગોંડલના મોટાદડવામાં નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું દુખદ અવસાર થતા તેની સગી 2 દિકરીઓ મનીશાબેન અને દયાબેન અને તેમની સાથે તેમની સંબંધીઓની દીકરીઓ સરોજબેન અને લીલાબેન દ્વારા કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. આમ સવારે આ ચારેય દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો.

મોટાદડવામાં રહેતા નાનજીભાઈનું દુખદ અવસાન થતાં દીકરીઓએ કાંધ આપી હતી અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. જે કૂખમા રમી ભમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે દીકરીઓએ હ્રદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા.

મનીષાબહેન અને દયાબહેને જણાવ્યું કે, ‘અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમે બંને બહેનો સાસરે છીએ. અમે જે પિતાની છત્રછાંયા ગુમાવી છે તેનો આઘાત વર્ણાવી શકાય તેમ નથી.’ આમ મોટાદડવા ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા. ત્યારે આ પરિવારના દુખમાં ભાગીદાર બનવા માટે ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top