‘ક્રિએટિવ સિટી નેટવર્ક’ ની યુનેસ્કોની યાદીમાં શ્રીનગરનો સમાવેશ: PM મોદીએ અભિનંદન પાઠવ્યા

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર, વિશ્વભરના 49 શહેરોમાંનું એક છે જેને સોમવારે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN) માં સામેલ કરવામાં આવ્યું હતું. આ યાદીમાં પહેલાથી જ 246 શહેરો છે. આ 49 શહેરોને યુનેસ્કોના ડાયરેક્ટર-જનરલ ઓડ્રે અઝોલેએ વિકાસના કેન્દ્રમાં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને રાખવા અને જ્ઞાન અને સારી પ્રથાઓના આદાનપ્રદાન માટેની તેમની પ્રતિબદ્ધતા સ્વીકાર્યા પછી સૂચિમાં ઉમેરવામાં આવ્યા હતા.

યુનેસ્કોની વેબસાઈટ પર જારી કરાયેલા એક રીલીઝ મુજબ હવે આવા શહેરોની સંખ્યા 295 છે જે કુલ 90 દેશોના છે. અહીં સંસ્કૃતિ અને સર્જનાત્મકતા, હસ્તકલા અને લોક કલા, સાહિત્ય, સંગીત વગેરેમાં ટકાઉ શહેરી વિકાસ માટે રોકાણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરને યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN) માં હસ્તકલા અને લોકકલા શ્રેણીમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ઈન્ડિયન નેશનલ કમિશન ફોર કોઓપરેશન વિથ યુનેસ્કો (INCCU) એ આ યાદીમાં સામેલ કરવા માટે શ્રીનગરની સાથે ગ્વાલિયરને પણ મોકલ્યું હતું. શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ ટ્વિટર પર શ્રીનગરને પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.ઓક્ટોબર 2019માં મુંબઈ અને હૈદરાબાદને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Scroll to Top