સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતના કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મિત્રો સાથે રમવા આવેલાં 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
પુત્રના મોતની જાણકારી મળતા જ માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા મેટ્રો પ્રોજેક્ટની ગંભીર બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેની સાથે અખ્તરના સંબંધી દ્વારા હવે મેટ્રો પ્રોજેક્ટનું કામ નહીં થવા દઈએ તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય અખ્તર અફસર શેખ 3 ભાઈઓ અને બહેનોમાં સૌથી નાનો હતો. તેના પિતા સોફા બનાવતી દુકાનમાં મજૂરી કરી જીવન પસાર કરે છે. જયારે આજે સાંજના સમયે અખ્તર પોતાના મિત્રો સાથે મેટ્રો રેલની કામગીરી ચાલી રહી હતી ત્યાં રમવા માટે ગયો હતો. પરંતુ અચાનક ત્યાં લોખંડનો પિલર અખ્તર અફસર શેખ પડતા જ તેનું મોઢું છુંદાઈ ગયું હતું. અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.
જ્યારે ઘટનાની જાણ થતા જ અખ્તરના માતા-પિતા સહિતનાં પરિવારજનો સિવાય સ્થાનિકો લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ અખ્તરને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને જોતા સ્થાનિકો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટ માટે સ્ટેશનનું કામ કરનાર કારીગરો આ દુર્ઘટના બાદ ત્યાંથી ભાગી ગયા હતા.
સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, મેટ્રો સ્ટેશનની કામગીરીમાં દરમિયાન કોઈપણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવતી નથી. બીજી તરફ અખ્તરનો પરિવાર પણ સમગ્ર ઘટનાના લીધે શોકોનું મોજું છવાઈ ગયું છે. અખ્તરના મોતના સમાચાર સાંભળીને તેના માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જ્યારે અખ્તરના કાકા દ્વારા હવે પછી મેટ્રો સ્ટેશનની કામગીરી કરવા દેવામાં આવશે નહીં તેવી ચિમકી આપવામાં આવી છે.