આ તો કેવું!! 30 હજારના સરકારી પેન્શનર્સ માંગતા હતા મંદિર પાસે ભીખ? સોમનાથ મંદિરથી આવ્યા મહત્વના સમાચાર

સોમનાથ મંદિરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સોમનાથ મંદિરની આજુબાજુના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તે દરમિયાન વિચિત્ર કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેમાં 30 હજારથી વધુનું સરકારી પેન્શન મેળવનાર લોકો પણ ભીખ માગતા હોવાનું સામે આવ્યું છે.

આ મામલામા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયૂષ ફોફંડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોમનાથ ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન અમારા દ્વારા શરુ કરવામાં આવ્યું છે. નિરાધારનો આધાર સ્કીમ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ભિક્ષુકોને નગરપાલિકાના શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવે છે અને 4-5 માનસિક અસ્થિર લોકોને ટોલનાકા પાસે આવેલા નિરાધારનો આધાર આશ્રમ ખાતે પણ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, ભિક્ષુકો માટે શેલ્ટર હોમમાં નાહવા, ચા-પાણી, બે ટાઇમ જમવાનું, ઓઢવા-પાથરવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ ભિક્ષુકોમાં બે નિવૃત્ત સરકારી કર્મચારી એવા પણ સામે આવ્યા છે જેમને માસિક પેન્શન મહિને 30 હજારથી વધુ આવે છે. તેમ છતાં તે ભિક્ષાવૃત્તિ કરવા માટે સોમનાથ આવી ગયા છે.

Scroll to Top