કઝાકિસ્તાનમાં ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો આદેશ, રાષ્ટ્રપતિએ વિરોધીઓને ગણાવ્યા આતંકવાદી

તાજેતરના દિવસોમાં વિરોધને કારણે અભૂતપૂર્વ અશાંતિ પછી, કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ શુક્રવારે જાહેરાત કરી કે દેશમાં બંધારણીય વ્યવસ્થા “મુખ્યત્વે પુનઃસ્થાપિત” કરવામાં આવી છે. તેમના પ્રવક્તાએ રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવને ટાંકીને આ માહિતી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવ્યા અને ચેતવણી આપ્યા વિના ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

કઝાકિસ્તાનની વર્તમાન સરકાર એમ તો દાવો કરી રહી છે કે દેશના મોટાભાગના ભાગોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જો કે હજુ પણ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં નથી. પ્રમુખ કાસિમ-જોમાર્ટ ટોકાયવે જણાવ્યું હતું કે ઘણા દિવસોની અશાંતિ પછી, વગર કોઈ ચેતવણીએ ‘આતંકવાદીઓ’ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. મતલબ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ આતંકવાદી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈંધણના ભાવ વધારાને લઈને શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિને લાગે છે કે સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થશે, તેમણે ચેતવણી આપ્યા વિના ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

‘બંધારણીય વ્યવસ્થા મુખ્યત્વે દેશના તમામ ક્ષેત્રોમાં પુનઃસ્થાપિત’
રાષ્ટ્રપતિ ટોકાયેવના પ્રવક્તાએ કહ્યું કે ‘આતંકવાદ વિરોધી ઓપરેશન’ શરૂ થઈ ગયું છે. કાયદા અમલીકરણ એજન્સીઓ સખત મહેનત કરી રહી છે. બંધારણીય વ્યવસ્થા મુખ્યત્વે દેશના તમામ પ્રદેશોમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સ્થાનીય અધિકારીઓ પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આતંકવાદીઓ હજુ પણ હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમની સામે આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે.

વાહન ઈંધણના ભાવ લગભગ બમણા થવાથી પરેશાન
લગભગ ત્રણ દાયકા પહેલા આઝાદ થયા પછી કઝાકિસ્તાન હાલમાં સૌથી ખરાબ વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યું છે. વાહન ઈંધણના ભાવ લગભગ બમણા થવા અંગે અને આઝાદી પછી એક જ પક્ષના શાસનના કારણે વ્યાપક અસંતોષના કારણે વિરોધની શરૂઆત થઈ, જે આખા દેશમાં ફેલાઈ ગયો. વિરોધ હિંસક બન્યો, સરકારી ઇમારતોને આગ લગાડવામાં આવી અને એક ડઝનથી વધુ અધિકારીઓ માર્યા ગયા.

રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવે પ્રદર્શનકારીઓને ઘણી વખત શાંતિ માટે અપીલ કરી હતી. જ્યારે તેની કોઈ અસર ન થઈ, ત્યારે ઘણા કડક પગલાં લેવામાં આવ્યા. બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યુનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી પ્રદર્શનકારીઓ સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવ્યા. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના કારણે વડાપ્રધાનની ખુરશી જતી રહી. કઝાકિસ્તાનના વડાપ્રધાન અસ્કર મામિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવે અલીખાન સમૈલોવને કાર્યકારી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.

Scroll to Top