પોલીસે ગુજરાતમાંથી 15 લોકોને છોડાવ્યા છે જેમને છેલ્લા ઘણા મહિનાઓથી ગેરકાનૂની પરપ્રાંતીય દલાલો દ્વારા વસૂલી માટે બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાં એક દોઢ વર્ષની બાળકી પણ છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગના સભ્યો પીડિતોને વિદેશ મોકલવાના નામે તેમના પરિવારજનો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. અધિકારીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આવા એક દલાલની ધરપકડ કરી છે.
ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષની બાળકી સહિત 15 લોકોને ટોળકી દ્વારા બંધક બનાવીને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તેમના પરિવારને અનેક ફોન કોલ કરીને તેમને વિદેશ મોકલવાના નામે પૈસાની માંગણી કરી હતી. જો કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મદદથી તમામ પીડિતોને રાષ્ટ્રીય રાજધાનીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
પીડિતો ગયા વર્ષે નવેમ્બરથી અલગ-અલગ સમયે વિદેશ જવા માટે ગુજરાત છોડી ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેઓને પહેલા મુંબઈ અને પછી પશ્ચિમ બંગાળ લઈ જઈને બાનમાં લેવામાં આવ્યા અને ત્રાસ ગુજારવામાં આવ્યો. વિદેશ મોકલવાના નામે તેમના પરિવારના સભ્યો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા, એમ અધિકારીએ જણાવ્યું હતું. ચાવડાએ જણાવ્યું કે ગેંગના સભ્યો પરિવાર પાસેથી પૈસા મેળવીને એક પછી એક આ લોકોને દિલ્હી લાવ્યા હતા.
તેમણે કહ્યું કે પોલીસ માનવ તસ્કરીના કેસની જીણવટભરી તપાસ કરી રહી છે કારણ કે જો પૈસા ન મળે તો પાંચ વર્ષની બાળકીને બાંગ્લાદેશમાં વેચવાની યોજના બનાવી રહ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના એક દંપતીના કેસની તપાસ દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી હતી જેઓ ડિસેમ્બરમાં વિદેશ ગયા હતા પરંતુ ત્યારથી તેમની કોઈ ખોજ ખબર ન હતી.