ગ્રીષ્મા વકેરીયા મર્ડર: બદનામીના ડરથી પરિવારે ફરિયાદ ના કરી અને દીકરીને મળ્યુ મોત

સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.

7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું

સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

હર્ષ સંઘવી એક્શનમાં

સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે. અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે.

Scroll to Top