દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નના નિધનથી તેના ફેન્સ, પરિવાર અને મિત્રો આઘાતમાં છે. વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું જ્યારે તે થાઈલેન્ડમાં રજાઓ પર હતો. તેના મેનેજર જેમ્સ એર્સ્કીને પણ જણાવ્યું કે વેકેશન પર જતા પહેલા તે 2 અઠવાડિયા સુધી માત્ર લિક્વિડ ડાયટ લઈ રહ્યો હતો. વોર્નને છાતીમાં દુખાવો અને પરસેવાની પણ ફરિયાદ હતી. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે.
થાઈ પોલીસે દિગ્ગજ ખેલાડી શેન વોર્નના મૃત્યુમાં કોઈ કાવતરું હોવાની શક્યતાને નકારી કાઢી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. રાષ્ટ્રીય પોલીસના નાયબ પ્રવક્તા કિસાના પાથનાચારોને એક નિવેદનમાં કહ્યું કે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો રિપોર્ટ વોર્નના પરિવાર અને ઑસ્ટ્રેલિયન એમ્બેસીને મોકલી દેવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે વોર્નના પરિવારને કોઈ શંકા ન હતી કે તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જનરલ સુરાચેત હકપાર્ને જણાવ્યું હતું કે, ‘સંઘર્ષના કોઈ નિશાન નથી અને ન કોઈ સામાન ગમ થયા હોવાનો રિપોર્ટ છે.’ તેમણે કહ્યું, ‘હોસ્પિટલના ડિરેક્ટરે કહ્યું છે કે તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. વોર્નના પરિવારના જણાવ્યા અનુસાર, તે છાતીમાં ખેંચાણ અનુભવી રહ્યો હતો અને વેકેશન પરથી પરત ફર્યા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હતું. કુદરતી કારણોસર તેમનું મૃત્યુ થયું છે, આ હત્યા નથી.’
જણાવી દઈએ કે શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુ પર તેની હોટલના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. શેન વોર્નનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફરિયાદીની ઓફિસમાં મોકલવામાં આવશે, જે અણધાર્યા મૃત્યુના કિસ્સામાં સામાન્ય પ્રક્રિયા છે. પરિવારે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારની વિનંતીને સ્વીકારી લીધી છે.