રાજ્યમાં ઓવરસ્પીડના કારણે ઘણી વખત અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે ગુજરાતમાં ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં સ્કૂલ વાનનો અકસ્માત થતા ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે.
ગુજરાતમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ ઘટી છે જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ રાજકોટના જસદણ પાસે જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી બાજુ સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત થયા છે. તો બીજી બાજુ સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રવિવારનાં રોજ પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના પુણા વિસ્તારમાં બેફામ બનેલી BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટનામાં અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી. બાદમાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.