મુંડકા આગના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આગમાં 27 લોકોના મોત થયા છે. આ દરમિયાન હજુ પણ 29 લોકો ગુમ હોવાના અહેવાલ છે. ગુમ થયેલાઓમાં 25 મહિલાઓ અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ લોકો તેમના પરિવારજનોના સમાચાર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. પોતાના લોકોને ગુમાવનારા પરિવારોની આંખોના આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા નથી. તેઓ વહીવટીતંત્રને વિનંતી કરી રહ્યા છે કે તેઓ તેમના પ્રિયજનો વિશે માહિતી આપે. એક મહિલાએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ તેમની પુત્રી માહી વિશે કોઈ માહિતી નથી. મહિલાએ જણાવ્યું કે તેમની પુત્રી દોઢ વર્ષથી કંપનીમાં કામ કરતી હતી. મહિલાએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ તેની પુત્રીએ ફોન કર્યો હતો. તે ફોન પર રડી રહી હતી કે ખાલા મને બચાવો. ત્યારબાદ 5 વાગ્યાથી તેનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. રડતી સ્ત્રીની હાલત ખરાબ હતી. તે વારંવાર એક જ વાત કહેતી રહી કે મારી દિકરી ક્યાં ગઈ.
ગઈકાલે સાંજે 4.10 વાગ્યે પત્ની સાથે વાત કરી હતી
એક વ્યક્તિ વિજયે કહ્યું કે મારી પત્ની ગુમ છે. તે ત્યાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. ગઈ કાલે સાંજે 4.10 વાગ્યે મેં તેની સાથે છેલ્લી વાત કરી હતી. મેં તેને ફરીથી ફોન કર્યો, ફોન વાગી રહ્યો હતો, પરંતુ કોઈ કોલનો જવાબ આપયો નહી. અન્ય એક મહિલા અંજુએ જણાવ્યું કે મારી ભત્રીજી ગુમ છે. તે છેલ્લા 3 વર્ષથી ત્યાં કામ કરતી હતી. બિહારના સહરસાના રહેવાસી મનોજ ઠાકુરે જણાવ્યું હતું કે તેઓ તેમની પત્ની સોનીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં હાજર હતી. તેણે કહ્યું કે સોનીએ તેને ફોન કરીને આગ વિશે જણાવ્યું હતું, પરંતુ તે પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. અમે તેને શોધી રહ્યા છીએ.
4-5 હોસ્પિટલની મુલાકાત પછી પણ પુત્રીનો પત્તો લાગ્યો ન હતો
અકસ્માત બાદ સોનમ અને તેની માતા સુનીતાની હાલત રડી-રડીને ખરાબ છે. અકસ્માત બાદ તેની મોટી પુત્રી ક્યાંય પણ મળી નથી. તેમની 20 વર્ષની પુત્રી એક વર્ષથી નોકરી કરતી હતી. સુનીતા એક જ પ્રશ્ન પૂછે છે કે મારી દીકરી ક્યાં છે. સુનીતાએ જણાવ્યું કે તે 12-1 વાગ્યા સુધી ત્યાં જ હતી પરંતુ દીકરી વિશે કંઈ જ ખબર ન પડી. સુનીતા કહે છે કે તેણે 4-5 હોસ્પિટલોની મુલાકાત લીધી છે પરંતુ પુત્રી વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. તેમને તેમની પુત્રી વિશે કોઈ હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળી ન હતી.
હોસ્પિટલમાં પ્રવેશવાની મંજૂરી નથી
અન્ય એક મહિલાએ જણાવ્યું કે તેની ભત્રીજી યશોદા 4 વર્ષથી કંપનીમાં કામ કરતી હતી. દુર્ઘટના પછી ક્યાંયથી તેના વિશે કોઈ માહિતી નથી. તેમના પરિવારના સભ્યો એઈમ્સ, સફદરજંગ, રામ મનોહર લોહિયાથી આંબેડકર હોસ્પિટલ ગયા છે. તેમ છતાં તેમને આ અંગે કોઈ માહિતી મળી નથી. ગુમ થયેલી બાળકીના મામાએ કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ થવા પણ દેવાયા નથી. હોસ્પિટલ પ્રશાસન કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યું છે.
આગની માહિતી સાંજે ફોન પર મળી હતી
અકસ્માત બાદ તેની બહેનને શોધી રહેલી એક મહિલાએ જણાવ્યું કે, તેને સાંજે 4 વાગ્યે ફોન પર કંપનીમાં આગ લાગવાની માહિતી મળી હતી. આ પછી તેના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મહિલાએ કહ્યું કે અમે રાતથી શોધ કરી રહ્યા છીએ પરંતુ કંઈ મળ્યું નથી.
રાહત કાર્ય હજુ પણ ચાલુ છે
એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે હાજર છે. લોકોના હજુ પણ મૃતદેહો મેળવી રહ્યા છે. દુર્ઘટનામાં અનેક લોકોના મૃતદેહ વિકૃત થઈ ગયા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા 27 લોકોમાંથી 25 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. હજુ પણ 29 લોકો ગુમ છે. ગુમ થયેલાઓમાં 25 મહિલાઓ અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સળગી ગયેલા મૃતદેહોને શુક્રવારે સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ કુલ 14 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 13 લોકોને રજા આપવામાં આવી છે. ફાયર વિભાગનું કહેવું છે કે મૃતકોની સંખ્યા 30 સુધી પહોંચી શકે છે.
સીએમ એ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા
આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સીએમએ તેને દર્દનાક અકસ્માત ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. સીએમએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ઘટનાસ્થળેથી મળેલા મૃતદેહોના ડીએનએ મેચ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ અકસ્માતની મેજિસ્ટ્રેટને તપાસના આદેશ પણ આપ્યા છે. સીએમએ કહ્યું કે એફએસએલ દ્વારા લાશ કયા પરિવારની છે તે જાણી શકાશે.