જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન થયું છે. આજે સવારે તેમને બે ગોળી વાગી હતી. તેઓ નારા શહેરની એક શેરીમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર આ ગોળીઓ ચલાવવામાં આવી હતી. શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે. તેઓ 2006 થી 2007 સુધી પ્રથમ વખત વડાપ્રધાન રહ્યા હતા. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. બાદમાં 2012 માં, આબે ફરીથી વડા પ્રધાન બન્યા અને ઓગસ્ટ 2020 સુધી આ પદ પર રહ્યા. ઓગસ્ટ 2020માં તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને રાજીનામું આપ્યું. આબે ભલે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીઘુ, પરંતુ તેઓ હજુ પણ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ખૂબ જ પ્રભાવશાળી હતા.
શિન્ઝો આબે કોણ છે?
– શિન્ઝો આબેનો જન્મ 21 સપ્ટેમ્બર 1954ના રોજ થયો હતો. આબે મોટા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા નોબુસુકે કિશીએ બીજા વિશ્વ યુદ્ધમાં સેવા આપી હતી. તેઓ યુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન હિદેકી તોજોની સરકારમાં મંત્રી પણ હતા.
યુદ્ધના અંત પછી અમેરિકાએ કિશીને યુદ્ધ અપરાધ માટે દોષિત માનીને જેલમાં ધકેલી દીધા હતા. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. 1955 માં કિશીએ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરવામાં મદદ કરી. કિશી 1957 થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન હતા.
અને આબેના દાદા, કાન આબે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જમીનદાર અને સંસદસભ્ય હતા. જ્યારે તેમના પિતા શિંતારો આબે 1958 થી 1991 સુધી સાંસદ અને મંત્રી હતા. શિન્ટારો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પાઇલટ બનવા માંગતા હતા, પરંતુ તેમની તાલીમ પૂર્ણ થાય તે પહેલા યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
– આબેએ પોતાનો અભ્યાસ સેકેઈ સ્કૂલમાંથી કર્યો હતો. બાદમાં તેમણે 1977માં સેકેઈ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા. ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. અમેરિકાથી પરત ફર્યા બાદ આબેએ એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં તે નોકરી છોડીને રાજકારણમાં જોડાઈ ગયા હતા.
1991માં પિતાના અવસાન બાદ, આબે 1993માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આબે 26 સપ્ટેમ્બર 2006ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેમની ઉંમર 52 વર્ષની હતી. આબે ફુમિમારો કોનો પછી સૌથી યુવા વડાપ્રધાન હતા. જો કે એક વર્ષ પછી ખરાબ તબિયતના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું.
2012 માં જાપાનમાં રાજકીય અસ્થિરતા ફાટી નીકળી હતી. તત્કાલીન વડા પ્રધાન યોશિહિકો નોડાએ સંસદ ભંગ કરીને ચૂંટણી યોજી હતી. આબે આ ચૂંટણીમાં જોરદાર રીતે બહાર આવ્યા હતા. આબેની પાર્ટીએ 480માંથી 294 બેઠકો જીતી હતી. 26 ડિસેમ્બર 2012ના રોજ આબે બીજી વખત વડાપ્રધાન બન્યા. ઓગસ્ટ 2020 માં, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને રાજીનામું આપ્યું.
ભારત સાથે કેવો છે સંબંધ?
– શિન્ઝો આબેનો ભારત સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેઓ સૌથી વધુ ભારતની મુલાકાત લેનારા જાપાનના પ્રથમ વડાપ્રધાન છે. તેમના પ્રથમ કાર્યકાળમાં, આબેએ 2006માં પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે ભારતમાં સંસદને પણ સંબોધિત કરી હતી.
2012માં ફરી વડાપ્રધાન બન્યા બાદ આબે 2014માં ભારત આવ્યા હતા. તેઓ 26 જાન્યુઆરીની પરેડના મુખ્ય અતિથિ હતા. આબે જાપાનના પ્રથમ વડાપ્રધાન છે, જે 26 જાન્યુઆરીની પરેડમાં મુખ્ય અતિથિ હતા. આ પછી આબેએ ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની મુલાકાત લીધી હતી.
ડિસેમ્બર 2015 માં, જ્યારે આબે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વારાણસી ગયા હતા. તે સમયે વારાણસી ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શનલ સેન્ટરની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ જાપાનની મદદથી બનાવવામાં આવ્યો છે. જેમાં જાપાને 186 કરોડ રૂપિયાની મદદ કરી હતી.
14 જુલાઈ, 2021 ના રોજ, જ્યારે પીએમ મોદીએ વારાણસી કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે તેમણે ખાસ કરીને શિન્ઝો આબેનો આભાર માન્યો. તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આ ઇવેન્ટમાં એક અન્ય વ્યક્તિ છે, જેનું નામ હું ભૂલી શકતો નથી. જાપાનથી મારો મિત્ર – શિન્ઝો આબે. જ્યારે શિન્ઝો આબે કાશી આવ્યા ત્યારે મેં તેમની સાથે રુદ્રાક્ષના વિચાર પર ચર્ચા કરી હતી.
આ પછી સપ્ટેમ્બર 2017માં જ્યારે આબે ભારત આવ્યા ત્યારે તેઓ પીએમ મોદી સાથે અમદાવાદ ગયા હતા. તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. આ પ્રવાસમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જાપાનની મદદથી બની રહી છે. આ પ્રોજેક્ટ પર 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી જાપાન 88 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે.