રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની મોટી કાર્યવાહી, ભારત સહિત 5 દેશોમાં યુક્રેનના રાજદૂતની હકાલપટ્ટી

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટું પગલું ભર્યું હતું. ઝેલેન્સકીએ ભારત સહિત પાંચ દેશોમાં તૈનાત પોતાના રાજદૂતોને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર આપવામાં આવી છે. યુક્રેને જર્મની, ભારત, ચેક રિપબ્લિક, નોર્વે અને હંગેરી ખાતેના યુક્રેનના રાજદૂતોને બરતરફ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના નિર્ણય માટે તાત્કાલિક કોઈ કારણ આપવામાં આવ્યું નથી. ઓર્ડરમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ રાજદૂતોને અન્યત્ર પોસ્ટ કરવામાં આવશે કે કેમ.

રાષ્ટ્રપતિએ રાજદ્વારીઓને આ અપીલ કરી હતી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમના આદેશમાં રાજદ્વારીઓને યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન અને લશ્કરી સહાય એકત્ર કરવા વિનંતી પણ કરી હતી. જેથી તેમનો દેશ રશિયાના આક્રમણનો જવાબ આપી શકે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ગત 24 ફેબ્રુઆરીથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે.

ખેરસનના ગવર્નરને હટાવ્યા

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના કબજા હેઠળના ખેરસન ઓબ્લાસ્ટના ગવર્નર હેનાડી લાહુતાને પણ હટાવી દીધા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વોલોડીમિરે સર્વન્ટ ઓફ ધ પીપલ પાર્ટીના ખેરસન ઓબ્લાસ્ટની વિધાનસભાના સભ્ય દિમિત્રી બટ્રીને કાર્યકારી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.

જર્મની-યુક્રેન ટર્બાઇન પર સામસામે

જર્મની સાથે કિવના સંબંધો હવે સારા નથી ચાલી રહ્યા. જર્મની રશિયન ઊર્જા પુરવઠા પર નિર્ભર છે. તે યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કેનેડામાં જર્મન નિર્મિત ટર્બાઈનને લઈને હવે બંને દેશો સામસામે આવી ગયા છે. તે ઇચ્છે છે કે ઓટાવા રશિયન કુદરતી ગેસ જાયન્ટ ગેઝપ્રોમને ટર્બાઇન પરત કરે. જેથી કરીને યુરોપમાં ગેસનો પુરવઠો ચાલુ રાખી શકાય. તે જ સમયે, કિવએ કેનેડાને ટર્બાઇન રાખવાની વિનંતી કરતા કહ્યું છે કે તેને રશિયા મોકલવું એ મોસ્કો પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.

Scroll to Top