ઉત્તર કોરિયાએ ગુરુવારે ફરી એક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. જાપાનની ઉપરથી એક મિસાઈલ પસાર થઈ, જેના કારણે મધ્ય અને ઉત્તર જાપાનમાં ખળભળાટ મચી ગયો. મિસાઈલના કારણે લોકોએ પોતાના ઘરોમાં આશરો લેવો પડ્યો હતો. ઉત્તર કોરિયાએ બુધવારે 23 મિસાઇલો છોડી હતી, જેમાંથી એક પ્રથમ વખત દક્ષિણ કોરિયાના કિનારે પડી હતી. મધ્ય જાપાનના લોકોને સરકાર દ્વારા ઘરની અંદર રહેવા ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ જાપાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ કોરિયાની સેના દ્વારા પણ મિસાઈલ લોન્ચની પુષ્ટિ કરવામાં આવી છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મિસાઈલ તબક્કામાં વિભાજિત થઈ ગઈ છે. સેનાનું કહેવું છે કે તે લાંબા અંતરની મિસાઈલ હોઈ શકે છે. બુધવારે ઉત્તર કોરિયાએ 23 મિસાઈલ છોડી હતી જેમાંથી એક 60 કિલોમીટર દૂર દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે પડી હતી. તેને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સોક યોલે તેમના દેશની સરહદ પર અતિક્રમણ ગણાવ્યું હતું. સાથે જ અમેરિકાએ તેને બેદરકારી ગણાવી હતી. 1945 પછી આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ મિસાઈલ દક્ષિણ કોરિયામાં પડી હોય. જેના કારણે લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
Prime Minister's Office of Japan has released an Emergency alert in view of the suspected ballistic missile launched by North Korea. https://t.co/RwhX0qZ2xp pic.twitter.com/QNjnart3a2
— ANI (@ANI) November 3, 2022
દક્ષિણ કોરિયાની સેનાને કહેવામાં આવ્યું છે કે તેણે ઉત્તર કોરિયાની ત્રણ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલો શોધી કાઢી છે. આમાંથી એક મિસાઈલ દરિયાઈ સીમાની નજીક પડી હતી. આ મિસાઈલના કારણે દક્ષિણ કોરિયાએ હવાઈ સર્વેક્ષણ સંબંધિત રેડ એલર્ટ જારી કરવું પડ્યું હતું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાએ બુધવારે સવારે વોન્સનના પૂર્વ કિનારેથી આ મિસાઇલો છોડી હતી.
જણાવી દઈએ કે આ મિસાઇલો એવા સમયે છોડવામાં આવી છે જ્યારે ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી છે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે આ બંને દેશોને ઈતિહાસની સૌથી મોટી કિંમત ચૂકવવી પડશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસને વિસ્તારવા બદલ અમેરિકાની ટીકા કરી છે. ઉત્તર કોરિયા દાવો કરે છે કે તે સંભવિત હુમલા માટે એક દાવપેચ છે અને મંગળવારે જવાબમાં “વધુ અસરકારક પગલાં” ની ચેતવણી આપી હતી.