અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસના સમર્થકોને અપીલ કરી છે. કેજરીવાલે એક વીડિયો સંદેશ જારી કરીને કોંગ્રેસ સમર્થકોને તેમની પાર્ટીને વોટ ન આપવા જણાવ્યું હતું. કેજરીવાલે કહ્યું કે આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં. આના જવાબમાં કોંગ્રેસે કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)ને ભારતીય જનતા પાર્ટીની બી-ટીમ ગણાવતા તેનો વીડિયો સંદેશ જાહેર કર્યો.
તેમના સંદેશમાં કેજરીવાલે કોંગ્રેસના પરંપરાગત સમર્થકોને આપને મત આપવા વિનંતી કરતા કહ્યું કે “કોંગ્રેસને મત આપવાનો અર્થ છે તમારો મત બગાડવો”. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર નહીં બને. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. કોંગ્રેસનો જે પણ ધારાસભ્ય જીતશે તે પછીથી ભાજપમાં જોડાશે.
તીખી પ્રતિક્રિયા આપતા, ગુજરાતના કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય રઘુ શર્માએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે કેજરીવાલની પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં. તેમણે કહ્યું, ‘હું અરવિંદ કેજરીવાલને પડકાર આપું છું કે તમારી પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં. તમે ભાજપની બી-ટીમ છો. હું તમને લેખિતમાં આપું છું કે તમને ગુજરાતમાં એક પણ બેઠક નહીં મળે.