અમદાવાદના શાહીબાગમાં આવેલા એક ફ્લેટના સાતમા માળે આગ ભભૂકી, એક 15 વર્ષની તરૂણીનું મોત

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક તરુણી અંદર ફસાઈ ગઈ હતી. એ બાદ ફસાયેલી 15 વર્ષીય તરુણીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 7:00 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ આવ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 10 ગાડી રવાના કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી.

Scroll to Top