અમદાવાદ જિલ્લામાં એક દલિત મહિલાના લગ્નમાં ડીજે વગાડવાને લઈને વિવાદ થયો હતો. જેમાં આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કરી માર માર્યો હતો. પોલીસે ગુરુવારે દલિત મહિલાના લગ્ન સમારંભ પર હુમલો કરવા બદલ છ લોકો સામે કેસ નોંધ્યો છે. દેત્રોજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.આર. પટેલે જણાવ્યું કે આ સમગ્ર મામલો અમદાવાદના દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામનો છે.
આ ગામમાં ગુરુવારે જગદીશ પરમારે દીકરીના લગ્ન પ્રસંગે શોભાયાત્રા કાઢી હતી. પટેલે જણાવ્યું હતું કે જ્યારે શોભાયાત્રા ગામમાં એક જગ્યાએ પહોંચી ત્યારે ઠાકોર (ઓબીસી) સમુદાયના કેટલાક યુવાનોએ તેમને તે વિસ્તારમાં ડીજે ન વગાડવા જણાવ્યું હતું. જ્યારે ઇનકાર કર્યો ત્યારે છ લોકોએ શોભાયાત્રા પર આવેલા લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
પીડિત પક્ષના જણાવ્યા અનુસાર, આ હુમલામાં દુલ્હનના પિતા ઘાયલ થયા હતા. આ ઘટનાના સંબંધમાં છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ત્યાં જ અન્ય એક ઘટનામાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના કૂંપટ ગામે ગઈકાલે ઠાકોર સમાજના યુવકના વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પોલીસે ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70 થી વધુ લોકોની અટકાયત કરી છે.