“ૐ શાંતિ” દ્વારકાથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળ પર 4 લોકોના મોત, ૧ બાળકનો બચાવ

દ્વારકા-લીંબડી હાઇવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. દ્વારકાથી 15 કિલોમીટર દૂર ચરકલા પાસે આંબલિયાર ચોકડી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર કરુણ મોત થયા હતા. જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદનો પરિવાર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પરત આવી રહ્યો હતો તે દરમિયાન ચરકલા નજીક અન્ય કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા એક કાર રસ્તા પરથી સાઈડમાં ઉતરી ગઈ હતી. જ્યારે અકસ્માતમાં રોનક વિજયભાઈ રાજપૂત, પૂજા રોનક રાજપૂત, મુધુબેન વિજયભાઈ રાજપૂત અને ભૂમિબેન અલ્પેશભાઈ ચૌધરીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું.

તેમ છતાં 12 વર્ષીય બાળક રુદ્રનો અકસ્માતમાં ચમત્કારિક રીતે બચાવ થયો છે. બાળકને પગમાં ઈજા થતા પહેલા દ્વારકા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારની જરુર પડતા તેને જામનગર ખસેડવામા આવેલ છે.

Scroll to Top