બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. મહત્તવનું છે કે, અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ત્યારે તમામ ભક્તજનોએ આ અંગે હવે સાવચેતી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે, દેશ અને રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે.
લોકો મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે.
મહત્તવનું છે કે, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન પર પ્રતિબંધનો નિર્ણંય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ પ્રવાસી ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે અને દર્શન કરવા હશે તો તેને પીતામ્બરી આપવામાં આવશે. મહિલાઓ માટે પણ અલગ કપડાંની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન સન્મુખ દર્શન કરવા આવતા યાત્રિકો ભગવાનનું સન્માન જળવાય તેવા કપડાં પહેરે તેવી આશા મંદિર ટ્રસ્ટ રાખી રહ્યું છે. આ અંગે મંદિરના પ્રવેશદ્વારા પર એક બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું છે.