ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 80 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ 900ને પાર પહોંચી ગયા છે. તો 3 મહિના બાદ અમદાવાદમાં કોરોનાના દરરોજના કેસ 240ને પાર પહોંચી ગયા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ફરી કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા છે.
ખાનગી હોસ્પિટલોમાં પણ 21 ટકા જટેલા બેડ ફૂલ થઈ ગયા છે. માર્ચ મહિના પહેલા જ્યાં 96 ટકા બેડ ખાલી હતા. પરંતુ દર્દીઓ વધતા ફરી બેડ ફૂલ થઈ રહ્યા છે. તો શહેરમાં ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમમાં ફરી એક વખત ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેથી હોસ્પિટલોમાં ખાલી બેડ અંગે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું કડક અમલ કરાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.
સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં લગ્ન અને મરણપ્રસંગ સહિત તમામ સ્થળે ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય છે કે નહિ તેના પર નજર રાખશે. અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધતા હોવાથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની વધી ચિંતા ગઈ છે. જોકે, બીજી તરફ અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર્સે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે.
થોડા દિવસમાં હોળી અને ધુળેટી આવી રહી છે ત્યારે સરકારના નિર્ણયથી મુસાફરો મુસાફરી ટાળશે. જે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા તેઓ હવે બુકીંગ કેન્સલ કરાવી રહ્યા છે. મુસાફરોમાં કોરોનાનો ડર વધશે, જેથી તેની સીધી અસર આવક પર પડશે.
રાજસ્થાન, એમપીમાં પરીક્ષાઓ માટે પણ હાલ બુકીંગ થઈ રહ્યા હતા તેના પર અસર પડશે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જવા કોરોના ટેસ્ટ ફરજિયાત થયો ત્યારથી જ લોકો હેરાન થતા હતા. હાલ સમય 12 વાગ્યા સુધીનો હતો, તેના કારણે સમસ્યા ઘટી હતી. પણ હવે ફરી શહેરના બોર્ડર પર મુસાફરોને ઉતરવા પડશે જેથી સમસ્યાઓ વધશે.