બનાસકાંઠામાં બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરથલ ગામમાં આડા સંબંધોની બાબતમાં બે પિતરાઇ ભાઇઓના પરિવાર વચ્ચે ખૂની ખેલાયો હતો.
જેમાં ઘાતક હથિયારો વડે સામ-સામે મારામારી થવાના કારણે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેના સિવાય આ મારામારીમાં અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પણ પહોંચી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના મોરથલ ગામે રહેનાર ઠાકોર પરિવારના બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઘાતક હથિયારો વડે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં એક વર્ષ અગાઉ નટાજી ઠાકોર તેમના પિતરાઈ ભાઈની પત્ની સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયા હતા.
જેના કારણે તેમના પરિવારજનો દ્વારા એક વર્ષ સુધી તેને ગામ બહાર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ દરમિયાન ગઇકાલના નટાજી તેના ઘરે આવતા પિતરાઈ ભાઈના પરિવારજનો દ્વારા તેના ઘરે ઠપકો આપવા માટે ચાલ્યા ગયા હતા.
આ સમયે બંને પરિવારોની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. જ્યારે આ મારામારીમાં ધારીયું, ધોકા, લાકડી જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવતા ચાર લોકોને ગંભીર ઈજા થઈ હતી. બનાવના કારણે આજુબાજુના લોકો દોડી આવતા ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ દરમિયાન લોહીલુહાણ થયેલા વરધાજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે થરાદ પોલીસ દ્વારા આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.