હાલ હિન્દુઓના પવિત્ર તહેવાર ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચથી એક સમાચાર મળી રહ્યા છે તે વાંચવા જરૂરી છે.
ભરૂચમાં શાંતિને ડહોળવાના આશય સાથે કેટલાક અસામાજિક તત્વોએ મોફેસરજીન કમ્પાઉન્ડ ખાતે સ્થાપન કરેલા શ્રીજીની પ્રતિમા ખંડિત કરી મંડપમાં માંસના ટૂકડા મૂકી દેતાં વિસ્તારમાં તંગદીલી સાથે રહીશોમાં રોષ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને અસામાજિક તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.
પોલીસે અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી
ભરૂચમાં આવેલા મોફેસરજીન કમ્પાઉન્ડ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ધામધૂમથી ગણેશની સ્થાપના કરી હતી. પરંતુ ગત રાત્રી દરમિયાન અસામાજિક તત્વોએ ગણેશના મંડપમાં કાગળમાં ભરીને માંસના ટુકડાઓ નાખીને અંધારામાં પલાયન થઇ ગયા હતા.
જે અંગેની જાણ રહીશોને થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની વાત વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં લોકોના ટોળા ઉમટી આવતા અસામાજિક તત્વો વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી માંસના ટુકડાઓના નમૂના મેળવી અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
અમે રાત્રે મોડે સુધી જાગતા હતા
મોફેસરજીન કમ્પાઉન્ડમાં અમે દરેક ધર્મના લોકો હળી મળીને રહીયે છે. છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારમાં અમારી યથાશક્તિ પ્રમાણે ગણેશની પ્રતિમા લાવીને સ્થાપન કરીએ છીએ. આ વર્ષે 4 વર્ષમાં પણ વાજતે ગાજતે શ્રીજીની સ્થાપના કરી હતી. પરંતુ અમારા યુવક મંળડના યુવકો રાત્રે 2 વગ્યા સુધી જાગતા હતા.
ત્યારબાદ કોઈ અસામાજિક તત્વો દ્વારા અમારા મંડપમાં માંસના ટુકડાઓ મૂકી જતા સવારે એક બહેન દિવાબત્તી કરવા આવતાં જાણ થઇ હતી. તેમણે લોકોને એકત્રિત કર્યા હતા.બનાવ મામલે અમારા વિસ્તારના લોકોમાં રોષ ફેલાઈ ગયો છે પોલીસ વહેલી તકે આવા તત્વોને પકડી કડક કાર્યવાહી કરવી જોઈએ. – પંકજ રાણા, ગણેશ આયોજક
બીજા ગણેશની પુનઃ વિધિ કરીને સ્થાપન કર્યું
અમે અહીંયા 30 વર્ષથી રહીએ છીએ અને ત્રણ વર્ષથી ગણેશ સ્થાપના કરીએ છીએ. કાલે રાતે કોઈ અસામાજિક તત્વોએ માંસના ટુકડા નાખી જતા અને સ્થાપિત ગણેશમાં ખંડિત થઈ હતી. જેથી અમારા મંડળે સાફ-સફાઈ કરાવીને મહારાજ બોલાવીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશની નાની પ્રતિમાનું પુનઃ સ્થાપન કર્યું હતું.
વિસ્તારમાં રહેતાં લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવવાના આવા કૃત્યને અંજામ આપનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. – ગંગા રાણા, સ્થાનિક રહીશ.
પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે
ભરૂચનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો છે, ત્યારે હાલમાં મોફેસર જીમ કંપાઉન્ડ ખાતેના ગણેશ મંડળ ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટીખળખોરોના સગડ મેળવવા માટે પોલીસના તમામ પ્રયાસ ચાલું છે. મંડળે મામલામાં કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે. જોકે પોલીસ દ્વારા આરોપીઓેને જેર કરવા માટેના પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. – વિજય ચૌહાણ, પીએસઆઇ, ભરૂચ
આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવશે
રાત્રીના સમયે કોઇ ટીખ્ખળખોરોએ કૃત્ય કર્યું હોવાથી તેમની ભાળ મળવી એક તબક્કે મુશ્કેલ બન્યું છે. તેમ છતાં આરોપીઓના પગેરૂ મેળવવા માટે પોલીસે તમામ પાસા તપાસ રહી છે. હાલમાં પોલીસે વિસ્તારના વિવિધ કેમરાઓના ફુટેજ મેળવવા સાથે તેમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય છે કે, કેમ તેની તપાસ હાથ ધરી રહી છે.