ચાલુ મેચમાં રોહિત શર્માના નાકમાંથી લોહી નીકળ્યું, મેદાન છોડવું પડ્યું, આખરે કેપ્ટનનું શું થયું?

ટીમ ઈન્ડિયાએ રવિવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી જીત છે. ભારતમાં રમાયેલી છેલ્લી ત્રણ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ એક વખત જીત મેળવી હતી જ્યારે બાકીની બે શ્રેણી ડ્રો રહી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં બંને ટીમો વચ્ચે કુલ 458 રન થયા હતા. આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાની આડમાં એક એવી ઘટના પણ બની હતી જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકાની ઈનિંગની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું.
રોહિત શર્મા લોહીથી લથપથ મેદાનની બહાર નીકળ્યો
આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 12મી ઓવરમાં બની જ્યારે રોહિત શર્માને પેવેલિયન પરત જવું પડ્યું. ગુવાહાટીમાં રમાયેલી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વધારે ભેજને કારણે નાકમાંથી લોહી લૂછતો જોવા મળ્યો હતો. દિનેશ કાર્તિક તરત જ તેની પાસે દોડી ગયો હતો. થોડા સમય પછી તેણે મેડિકલ ટીમને પણ બોલાવી હતી. 35 વર્ષીય યુવાને શરૂઆતમાં રક્તસ્રાવ રોકવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો હતો પરંતુ આખરે ડ્રેસિંગ રૂમમાં તબીબી સારવાર માટે ડગઆઉટમાં પાછો ફર્યો હતો.
ત્યારબાદ જીતવા માટે મેદાનમાં પરત ફર્યો હતો
આ દરમિયાન કેએલ રાહુલે આગેવાની લીધી અને કેપ્ટન્સી કરતો જોવા મળ્યો. જોકે, રાહતની વાત એ છે કે રોહિત શર્મા થોડા સમય પછી મેદાનમાં પાછો ફર્યો અને ટીમ ઈન્ડિયાની જીત સુધી કેપ્ટન્સી ચાલુ રાખી. અંતિમ ક્ષણોમાં તે બાઉન્ડ્રી લાઇન પર પણ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો, જેનાથી સમજી શકાય છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
ભારતે આ મેચ 16 રને જીતી લીધી હતી. ભારતે 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61, કેએલ રાહુલે 28 બોલમાં 57 રન, વિરાટ કોહલીએ અણનમ 49 અને કેપ્ટન રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા ડેવિડ મિલર (106*)ની શાનદાર સદી અને ક્વિન્ટન ડી કોક (69*)ની અર્ધશતકના આધારે 221 રન સુધી પહોંચી શક્યું હતું.
