લઠ્ઠાકાંડથી હાહાકાર, બરવાળામાં ચારેતરફ દર્દનાક માહોલ, આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું

બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર સર્જાયો છે. રોજિદ ગામ લઠ્ઠાકાંડનુ મુખ્ય સેન્ટર હતું. મૃતકોમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ દર્દનાક માહોલ જોવા મળી રહ્યો છે.

કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ ગુમાવ્યો. ત્યારે આજે બરવાળાના મૃતકોને આજે અગ્નિદાહ અપાતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રોજિદ ગામમાં હાલ ઝેરી કેમિકલ પીને મોતથી ભેટનારા મૃતદેહોને લાવવામાં આવી રહ્યાં છે.

રોજિંદ ગામનો મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે. હાલ 5 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાશે. ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહોની અંતિમયાત્રા નીકળી, આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું છે. હજી પણ અનેક મૃતદેહો સ્મશાન ભૂમિ પર આવશે.

જે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો તેમાં 9 લોકોના મોત થયા છે. ત્યારે હવે આ ગામને દારૂની બદી કેટલી ખરાબ છે તે સમજાઈ ગયુ હશે. લઠ્ઠાકાંડથી રોજીદમાં માતમ છવાયો છે. લઠ્ઠાકાંડથી મોતને ભેટનારા 5 લોકોની એકસાથે અર્થી નીકળી હતી.

ત્યારે સ્મશાન ભૂમિમાં ભયાવહ દ્રષ્યો જોવા મળ્યા હતા. નાનકડા એવા રોજીદમાં ચિતા પણ ખૂટી પડી હતી. ચિતા ખુટતા જમીન પર અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. હજી પણ અન્ય મૃતદેહોને હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે.

Scroll to Top