દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગે છે. એટલા માટે લોકો નોકરી દરમિયાન જ અનેક પ્રકારની યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરી દે છે. જો તમે પણ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનું શરૂ કરવા માંગો છો તો તમે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની યોજના પસંદ કરી શકો છો. એલઆઇસી દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે જે તમામ ઉંમરના લોકો માટે યોજના ધરાવે છે. જો તમે તમારા ભવિષ્યને આર્થિક રીતે મજબૂત કરવા માંગો છો, તો તમે એલઆઈની સરલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકો છો.
કોણ રોકાણ કરી શકે છે?
એલઆઈસીની આ સ્કીમમાં રોકાણ કર્યા પછી જ પેન્શન મળવાનું શરૂ થાય છે. આ પોલિસી લેવા માટે, તમારે એકસાથે રકમનું રોકાણ કરવું પડશે. આ યોજનામાં ફક્ત 40 વર્ષથી 80 વર્ષની વયના લોકો જ રોકાણ કરી શકે છે. પતિ-પત્ની સાથે મળીને આ સરળ પેન્શન પ્લાન પણ ખરીદી શકે છે. પોલિસી લીધા પછી, જો તમે તેને ચાલુ રાખવા માંગતા નથી, તો તમે તેને છ મહિનાની અંદર સરેન્ડર કરી શકો છો. જો પોલિસી ધારક પોલિસી લીધા પછી કોઈપણ કારણસર મૃત્યુ પામે છે, તો રોકાણની રકમ નોમિનીને પરત કરવામાં આવે છે.
લોનની સુવિધા ઉપલબ્ધ છે
એલઆઈસીની સરળ પેન્શન પોલિસી લેવા માટે, તમારે વાર્ષિક ઓછામાં ઓછા 12,000 રૂપિયાની વાર્ષિકી ખરીદવી પડશે. આ યોજનામાં રોકાણ માટે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ એકવાર પ્રીમિયમ ચૂકવ્યા પછી વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પેન્શન મેળવી શકે છે. જ્યારે તમારી લીધેલી પોલિસીની ઉંમર છ મહિના પૂર્ણ થાય છે, તો તેના પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે તમારી પોલિસી સામે સરળતાથી લોન લઈ શકો છો.
નિવૃત્તિ પછીની યોજના
એક રીતે આ યોજના નિવૃત્તિ પછીના રોકાણના આયોજનમાં બંધબેસે છે. ધારો કે કોઈપણ વ્યક્તિ તાજેતરમાં નિવૃત્ત થઈ છે. તે નિવૃત્તિ દરમિયાન મળેલા પીએફ ફંડ અને તેમાં ગ્રેચ્યુટીમાંથી મળેલા નાણાંનું રોકાણ કરી શકે છે. જો તે આ એકસાથે રોકાણમાંથી વાર્ષિકી ખરીદે છે, તો તેને પેન્શન મળવાનું શરૂ થશે. એલઆઈસી કેલ્ક્યુલેટર મુજબ, જો કોઈ 42 વર્ષીય વ્યક્તિ 30 લાખ રૂપિયાની વાર્ષિકી ખરીદે છે, તો તેને દર મહિને પેન્શન તરીકે 12,388 રૂપિયા મળશે.