દેશનો પ્રથમ કિસ્સો જેમાં સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરવામાં આવ્યું છે. ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. દેશમાં સૌપ્રથમ વખત 2015માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું 19મુ હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે.
આ કિસ્સો સુરત માંથી સામે આવ્યો છે. જે સુરતના રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને બુધવારે 27 ઓકટોબરના રોજ ઉલટીઓ થતા અને તેનું બ્લડ પ્રેસર વધી જવાને કારણે કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેના નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કરવામાં આવ્યો હતો.
ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માણસાઈના દિવા પ્રગટાવ્યા છે. જો કે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બાળકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
જે પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફસાં અને આંતરડાના દાનની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે. ત્યારે પરિવારજનોએ પોતાના હૃદય ઉપર પત્થર મુકીને પોતાના વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી હતી.
SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઇ શક્યું નહોતું.
જો કે સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મી.નું અંતર 105 મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં ડૉ.નિલેશ સાતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા તે પુનામાં એક કંપનીમાં કલેરીકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે, અન્યથા હાથ કામ કરતા બંધ થઈ જાય છે. તેથી હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. તેમજ અને લિવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.