દુનિયામાં ચમત્કારોની વાર્તાઓની કોઇ કમી નથી. ક્યારેક ડોક્ટરોની બેદરકારીને ચમત્કારનું નામ પણ આપવામાં આવે છે. આવી જ અનેક ઘટના સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક બાળકી જેના વિશે ડૉક્ટરોએ કહ્યું હતું કે તેણી મૃત જન્મી છે, તે કબ્રસ્તાનમાં લઈ ગયા પછી અચાનક જીવતી થઈ ગઈ હતી. હવે લોકોમાં ‘કુદરતનો કરિશ્મા કે ડોક્ટરની બેદરકારી’ની ચર્ચા છેડાઈ ગઇ છે. જો કે, આ ઘટનામાં સામેલ 2 આરોગ્ય કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
ડૉક્ટરે કહ્યું- છોકરી મૃત જન્મી છે
બનિહાલમાં શમીમા બેગમ નામની મહિલાએ સોમવારે 23 મેના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેના જન્મ પછી ડૉક્ટરે કહ્યું કે બાળકી મૃત જન્મી છે અને તેના જીવિત હોવાની કોઈ આશા નથી. હોસ્પિટલ સ્ટાફે બાળકીને તેના પરિવારજનોને સોંપી હતી. પરિવારના સભ્યોએ પણ બધી આશા છોડી દીધી. તેઓ તેને પાછા લઈ ગયા હતા.
અચાનક જીવતી થઇ બાળકી
આ પછી પરિવારના સભ્યો બાળકીને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ ગયા હતા. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે એક ચમત્કાર થયો. છોકરી અચાનક જીવતી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. ત્યાં હાજર સૌ કોઈને આશ્ચર્ય થયું. સદ્ભાગ્યે છોકરીને દફનાવવામાં આવે તે પહેલાં જ તે રડવા લાગી, જેનાથી ખબર પડી કે તે જીવિત છે.
ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આરોપ
યુવતીના પરિવારજનોએ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને તેમનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બાળકીને યોગ્ય તપાસ કર્યા વિના મૃત જાહેર કરવામાં આવી હતી. જે બાદ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાં જ બ્લોક મેડિકલ ઓફિસરે કેસમાં સામેલ 2 આરોગ્ય કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર ‘કુદરતનો કરિશ્મા કે ડોક્ટરની બેદરકારી’ની ચર્ચા ચાલી રહી છે. લોકો પોતાની દલીલો આપતા જોવા મળી રહ્યા છે.