ગુજરાતના પશુઓમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. તાજેતરના એક અભ્યાસના અહેવાલમાં આ પુષ્ટિનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતની ગાય અને કૂતરા ઉપરાંત ભેંસ અને ઘોડામાં પણ કોરોનાની પુષ્ટિ થઈ છે. જો કે, આ પ્રાણીઓથી મનુષ્યોને સંક્રમણ લાગવાનું જોખમ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતની કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે પ્રાણીઓમાં કોરોના અંગે આ સંશોધન કર્યું હતું.
અભ્યાસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આ પ્રાણીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 24 ટકા પ્રાણીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર ભારતમાં આ પ્રકારનું સંશોધન પ્રથમ વખત કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું હતું કે દુધાળા પશુઓને પણ આ વાયરસનું સંક્રમણ લાગી શકે છે. અગાઉ બિલાડી, બીવર જેવા પ્રાણીઓ સંક્રમિત જોવા મળતા હતા.
અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે દૂધાળા પશુઓથી મનુષ્યોમાં સંક્રમણ લાગવાનું જોખમ ઓછું છે, કારણ કે તેમનામાં વાયરસનો લોડ ઓછો જોવા મળ્યો છે. આ સંશોધન ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા કરવામાં આવ્યું છે. સંશોધનમાં 195 કૂતરા, 64 ગાય, 42 ઘોડા, 41 બકરા, 39 ભેંસ, 19 ઘેટા, છ બિલાડી, છ ઊંટ અને એક વાંદરો સહિત 413 પ્રાણીઓના નાક અથવા ગુદામાર્ગમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.
માર્ચ 2022માં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણા જિલ્લામાંથી પ્રાણીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 95 પશુઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી 67 કૂતરા, 15 ગાયો અને 13 ભેંસોને સંક્રમિત મળી આવી હતી.
આ સંશોધન દ્વારા પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે કોરોના વાયરસના સંક્રમણનો સંબંધ શોધવાનો હતો. બીજી કોરોના લહેરમાં દેશના ઘણા ભાગોમાં પ્રાણીઓને પણ સંક્રમણ લાગ્યું હોવાનું બહાર આવ્યું છે. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાણીઓમાં સંક્રમણ મનુષ્યોથી ફેલાય છે, પરંતુ પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમણના કોઈ પુરાવા નથી મળ્યા.