દાહોદની કરૂણ ઘટના સાંભળી તમારી આંખમાં આવી જશે આંસુ : સાવકી માતા અને સગા પિતાના ત્રાસથી 19 વર્ષીય પુત્રએ કર્યો આપઘાત

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાથી એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્ર દ્વારા સાવકી માતા અને પિતાના ત્રાસથી આપઘાત કરી લેવામાં આવતા હાહાકાર સર્જાયો છે. પોલીસ દ્વારા આ મુદ્દે સાવકી માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દેવગઢબારિયા તાલુકાનાં ઝાપટિયા ખાતે રહેનાર સુબતભાઈ રાઠવાના લગ્ન ધાનપુર તાલુકાના કાનદારપુરા ખાતે કંપાબેન સાથે થયા હતા અને આ સુખી સંસાર જીવનમાં તેમને પુત્ર પણ થયો હતો. તેમ છતાં છેલ્લા થોડા વર્ષોથી ઝાપટિયા ગામની જ મહિલા સાથે સુબતભાઈ પ્રેમમાં પડી ગયા અને પ્રેમમાં અંધ બનેલા સુબતભાઈ પ્રેમિકાને બીજી પત્ની તરીકે લાવવા અવારનવાર ઝઘડા કર્યા હતા અને અંતે પોતાની પ્રેમિકાને બીજી પત્ની તરીકે ઘરમાં લાવી દીધી હતી.

પ્રેમમાં ગળા ડુબ રહેલા સુબતભાઈ પ્રેમિકાની સાથે મળી બંને માતા પુત્રને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે છેલ્લા 4 મહિનાથી કંપાબેન પોતાના પીયર ચાલ્યા ગયા હતા અને પુત્ર જિતેન્દ્ર ઝાપટીયા ખાતે અભ્યાસ કરી રહ્યો હતો.

તેની સાથે સમયાંતરે મામાના ઘરે જઈને માતાને પણ મળતો હતો પરંતુ જિતેન્દ્રને સાવકી માતા અને સગો પિતા બંને જણા મળી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેતા અને માર મારી તેને ઘર છોડી જતો રહેવાનું કહેતા હતા. બંનેના ત્રાસથી કંટાળી જિતેન્દ્ર દ્વારા ઘર નજીક આવેલ કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતા જ તેની માતાને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તેના આપઘાત પાછળ જવાબદાર તેના પિતા અને સોતનને જવાબદાર ઠેરવી, બંને વિરુધ્ધ સાગટાળા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે દૂષપ્રેરણાનો ગુનો નોધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Scroll to Top