દિલ્લીના ઓલ્ડ સીમાપુરીમાં એક ઘરમાં લાગી ભયંકર આગ, ગુંગળામણના કારણે 4 ના મોત

દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઓલ્ડ સીમા પુરી વિસ્તારમાં વહેલી સવારે ત્રણ માળની ઇમારતના ઉપરના ફ્લોર પર આગ લાગી હતી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે વહેલી સવારે 4.03 વાગ્યે ઓલ્ડ સીમાપુરીના એક મકાનમાં આગ લાગવાની જાણકારી તેમને મળી હતી. માહિતી પ્રાપ્ત થતા જ પોલીસની ટીમ અને દિલ્હી ફાયર સર્વિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે DFS, ક્રાઈમ ટીમ, FSL ટીમ અને સીનીયર અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘરના ત્રીજા માળે આવેલા રૂમમાંથી કુલ 4 વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મૃતકોમાં એક સભ્ય હોરિલાલ નામના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. મૃતક હોરીલાલ શાસ્ત્રી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. તે આગામી વર્ષે માર્ચ 2022 માં નિવૃત્ત થવાના હતા. મૃતકોની યાદીમાં હોરીલાલની પત્ની રીનાનો પણ સમાવેશ થાય છે. જે MCD માં કામ કરતી હતી.

જ્યારે મામલાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં જોડાઈ ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ફોરેન્સિક ટીમ પણ આગનું કારણ અને આ મુદ્દે કોઈ શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તપાસમાં જોડાઈ ગઈ છે.

Scroll to Top