ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પછી પણ સાઉથ આફ્રિકા સામે હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન યથાવત છે. રાજકોટમાં રમાયેલી ચોથી T20 મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંઘર્ષ કરી રહ્યો હતો, તે સમયે હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે ટીમનો સ્કોર 169 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. છેલ્લી 5 ઓવરમાં બંનેએ સાઉથ આફ્રિકાના બોલરોની જોરદાર ખબર લીધી અને 33 બોલમાં 65 રન જોડ્યા હતા. પંડ્યાએ 31 બોલમાં 46 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
દબાણની પરિસ્થિતિમાંથી હાર્દિક કેવી રીતે બહાર નીકળ્યો?
રાજકોટ ટી-20 માં જે રીતે હાર્દિક પંડ્યાએ દબાણની સ્થિતિમાં બેટિંગ કરી તે પ્રશંસનીય છે. તેણે કહ્યું કે માહી ભાઈએ તેને શીખવ્યું છે કે દબાણની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું. તેણે કહ્યું કે મેં ધોનીને પૂછ્યું હતું કે દબાણને કેવી રીતે હેન્ડલ કરવું, તો તેમણે મને કહ્યું કે તમારા સ્કોર વિશે વિચારવાનું બંધ કરો અને ટીમની જરૂરિયાતો પર ધ્યાન આપો. ધોનીની આ વાતથી મને વધુ સારો ક્રિકેટર બનવામાં મદદ મળી. એવું નથી કે પંડ્યાએ પહેલીવાર ધોનીના વખાણ કર્યા છે. તેણે અગાઉ પણ કહ્યું હતું કે તેની ક્રિકેટ કારકિર્દીમાં ધોનીની મોટી ભૂમિકા છે.
આ શ્રેણીમાં હાર્દિકનું પ્રદર્શન
આપીએલ બાદ હાર્દિક પંડ્યા સાઉથ આફ્રિકા સામે પણ શાનદાર ફોર્મમાં છે. તેણે 4 મેચમાં 153.95ની સ્ટ્રાઈક રેટ અને 58.50ની એવરેજથી 117 રન બનાવ્યા છે. તે આ સિરીઝમાં ઈશાન કિશન પછી બીજા નંબરનો સૌથી સફળ બેટ્સમેન છે.
સિરીઝની છેલ્લી મેચ રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી જીતવાની તક છે.