તુલસીના છોડને હિન્દુ ધર્મશાસ્ત્રોએ અત્યંત પવિત્ર ગણ્યો છે. ભગવાન કૃષ્ણના પટરાણી રૂક્મણીને તુલસીના રૂપમાં સાંકળીને હિન્દુ પ્રજા તુલસીને પૂજ્ય માને છે, નિયમિત ધૂપ-દીપ કરે છે.
વળી, આપણે ત્યાં થતા તુલસી વિવાહને તો કેમ ભૂલી જ શકાય? ઠાકોરજી સાથે તુલસી માતાના વાજતે-ગાજતે ફેરા ફેરવવામાં આવે છે. ઘરની દીકરીને વળાવતા હોય એમ લોકો તુલસી માતાને વળાવે છે ત્યારે ચોધાર આંસુડે રડી પડે છે. કેટલી અદ્ભુત છે આપણી સંસ્કૃતિ!
ખેર, અહીં વાતનો ટોપિક અલગ છે; અને એ છે કે, પૂજનીય ગણાતા તુસલીના છોડના વિશે પણ કેટલીક કાળજી રાખવી આવશ્યક છે. જેમ કે, અમુક દિવસોમાં તેમના પર્ણો તોડાતાં નથી. કેમ? શું છે કારણ? આ ઉપરાંત પણ એક-બે વાત જાણી લો નીચેના ટોપિકમાં:
આ વારે પાણી ના પાવું
આમ તો તુલસીમાતાને રોજ સવારે ઉઠીને પાણી પાવું જ જોઈએ. એ જ શુભદાયી છે. એમાં કંઈ ખોટું પણ નથી. છતાં, અમુક માન્યતાઓ અનુસાર તુલસીના છોડને રવિવારે પાણી ના પાવું જોઈએ. અલબત્ત, આખરે માન્યતા એ માન્યતા છે! એવું કોઈ ખાસ કારણ નથી કે, આ નિયમનું પાલન કરો જ!
રોજ પૂજા કરવી
હાં, આ જરૂરી છે. આપણા ઘરના ફળીયામાં તુલસીનો છોડ હોય (અને હોવો જ જોઈએ) એટલે રોજ સવારસાંજ ધૂપદીવા કરતી વખતે અગરબત્તી તો ફેરવવી જ જોઈએ. સવારના પહોરમાં ઘણાં લોકો તુલસીનું પૂજન કરીને પાણી રેડતી વખતે માતા તુલસીનો શ્લોક પણ બોલતા હોય છે.
આ દિવસોમાં તુલસીના પાન તોડશો નહીં
તમે જે જવાબ જાણવા માટે ક્લીક કરીને આવ્યાં છો એ આ રહ્યો: માન્યતા છે કે ગ્રહણના દિવસોમાં, રવિવારે અને એકાદશીનો દિવસ હોય ત્યારે તુલસીના પર્ણ તોડવા નહી. વાસ્તુશાસ્ત્રનો નિયમ આમ કહે છે. કહેવાય છે કે, લક્ષ્મીજી આથી નારાજ થાય છે. જે અલબત્તા કોઈને પાલવવાનું છે નહી!
આમ તો આપણે કોઈને કોઈ શુભ પ્રસંગે તુલસીના પર્ણ તોડતા જ હોઈએ છીએ. અલબત્ત, ઘરે કંઈક શુભ પ્રસંગ હોય તો નિ:સંદેહ પાનની જરૂર હોય ત્યારે તોડી શકાય.
આ પણ મહત્ત્વનું છે
ઔષધીય ગુણોમાં તુલસીનો જોડો જડે તેમ નથી. ઉધરસ થઈ હોય તો તુલસીના પાન ચાવવાથી અને એનો રસ ગળે ઉતારવાથી હાલતમાં સુધાર પણ ચોક્કસપણે આવે છે.
એ પણ જાણી લો કે, તુલસીનો છોડ તમારા ઘરને આંગણે હોય અને રખે કોઈ કારણોસર સૂકાઈ જાય, તો તેને પાણીમાં વહાવી દેવો. ત્યારબાદ એ જ સ્થાને પાછો નવો રોપડો ઉગાડી દેવો. તુલસી વગરનું આંગણું તો ના જ રહેવા દેવું.
આપણી માતાઓ-બહેનો ગાય છે ને કે,
જેને આંગણે તુલસીનો છોડ નથી; એનો મનુષ્ય તણો અવતાર નથી!
આર્ટીકલ ગમ્યો? શેર પણ કરી દેજો. બીજાં પણ વાંચે ને એ બહાને! જય તુલસીમાતા!