કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર

કોરોના મહામારીના કારણે દેશ અને ગુજરાતમાં જે ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે એ આપણે સૌ જાણીએ છીએ. લોકો ઑક્સીજન, વેન્ટિલેટર, બેડ અને ઈન્જેકશન માટે સતત લોકો વલખા મારી રહ્યા છે તેમજ ધંધા-રોજગાર ને પડેલી અસર ને કારણે માનસિક તણાવ માં જીવી રહ્યા છે. ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને ટ્રીટીંગથી કોરોના મહામારીને ડામવાનો પ્રાથમિક ચરણનો અમલ ટેસ્ટિંગ કીટ અને લેબોરેટરીની અછત ના કારણે અશક્ય બન્યો છે.

આ કારણે વધુ ને વધુ લોકો નિદાન અને સારવારમાં વિલંબથી ગંભીર અવસ્થાએ પહોંચી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સ સિવાય હોસ્પિટલમાં એડમિશન નથી મળતું અને 108 ચોવીસ કલાક પહેલા મળવી અસંભવ બની છે. એમ્બ્યુલન્સ મળે તો હોસ્પિટલમાં બેડ મળવા રાહ જોવી પડે છે. બેડ પણ મળી જાય તો ઓક્સિજન કે રેમડીસીવીર મેળવવા રઝળપાટ કરવી પડે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદભાગ્ય નહીંતર સ્મશાન-કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિદાહ આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે.

આવી સ્થિતિમાં આપણે સૌ એ પક્ષ-વિપક્ષનો ભેદ ભૂલી સાથે મળીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે આપને આ પત્રનાં માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે, આપ રાજયપાલશ્રીની અધ્યક્ષતામાં પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યસચિવો, પૂર્વ આરોગ્યમંત્રીઓ અને ડોકટરી ફિલ્ડ ક્ષેત્રે દેશ-વિદેશના એક્સપર્ટ અને બ્યુરોક્રેટ્સ સાથે સર્વ પક્ષીય બેઠક બોલાઓ જ્યાં વિગતવાર પરિસ્થિતી પર ચર્ચા કરીને જનભાગીદારી થકી મુશ્કેલીઓનો સામનો કરવા રોડમેપ ઘડીએ.

અનુભવ નો કોઈ પર્યાય નથી માટે સૌ સાથે મળીને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું. કોરોના મહામારી યુદ્ધ જેવી પરિસ્થિતી છે અને તેમાં તંત્ર ને તન, મન અને ધન થી પૂરતી તમામ મદદ કરવા માટે હું તૈયાર છું. અનેક લોકોની જેમ હાલમાં જ મેં પણ મારા પરિવારના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે ત્યારે લોકોનું દુઃખ અને સમસ્યા સમજી શકું છું અને એટલે જ આ પત્રની મારફતે કેટલાક સૂચનો પણ આપની સમક્ષ રજૂ કરું રહ્યો છું.

108 સિવાય એડમિટ ના કરવા, AMC માં ફક્ત અમદાવાદના લોકોને જ ઈલાજ આપવો જેવા બિનજરૂરી નિયમોથી લોકો ત્રાસી ગયા છે, ત્યારે તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવા જોઈએ અને BRTS, સિટી બસો, ST બસો અને Ola, Uber જેવા ખાનગી વાહનોનો પણ ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા ઉપયોગમાં લેવા જોઈએ.

દરેક હોસ્પિટલમાં એક ડેશબોર્ડ લગાવવુ જોઈએ જેમાં બેડ, ઓકસીજન, વેન્ટિલેટર અને જરૂરી ઇન્જેક્શન અને દવાઓનાં સ્ટોકનો રિયલ ટાઈમ ડેટા હોઈ અને તેને સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવું જોઈએ જેથી લોકોને પણ સાચી જાણકારી મળે.

આજની વિકટ પરિસ્થિતિમાં બેડ, ઓકસીજન, વેન્ટિલેટર કે ઇન્જેક્શન જેવી વસ્તુઓ માટે લોકો સતત તેમના જનપ્રતિનિધિઓને સંપર્ક કરી રહ્યા છે પરંતુ જનપ્રતિનિધિઓની પણ મર્યાદા હોતા તેઓ પોતાની ફરજ પૂરતી નિભાવી નથી શકતા ત્યારે સરકાર તમામ જનપ્રતિનિધિઓને તેમના વિસ્તારની વિશેષ જવાબદારી સોંપી જે તે વ્યવસ્થા વિભાગ સાથે સંકલનમાં જોડે જેથી તેમના અનુભવનો લાભ પણ મળે અને લોકોને ઉપયોગી પણ બને.

ગ્રામ્ય સ્તરે ખાલી રહેલા આરોગ્ય કેન્દ્રો અને ખાનગી નાના-મોટા દવાખાનાઓ અને તેના ડોક્ટરોને પણ જરૂરી વળતર આપીને તેનો ઉપયોગ હોસ્પિટલોનું ભારણ ઓછું કરવા કરી શકાય. ડેથ સર્ટિફિકેટ માટે પણ જે લાઈનો લાગી રહી છે તેને પણ ટાળી શકાય તેમ છે જો સરકાર ડેથ સર્ટિફિકેટને સીધું મૃતકના પરિવારનાં એડ્રેસ પર પહોંચાડવાની વ્યવસ્થા કરે તો ઘણુ સારું.

આજે જ્યારે લોકોમાં જાગૃતિ લાવવા અને મદદ પહોંચાડવા સોશીયલ મીડીયા ઇન્ફ્લ્યુંસર ઉપયોગી સાબિત થઇ રહ્યા છે ત્યારે તેમને પણ સરકારી વિભાગ સાથે સંકલનમાં સીધા જોડીને જાગૃતિ ફેલાવવાનું અને મદદ પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનાવી શકાય છે.

વિશેષ ટીવી પ્રોગ્રામ મારફતે મનોચિકિત્સકની મદદથી કોરનાને કારણે સ્વાસ્થ્ય અને ધંધા-રોજગારને પડેલી અસર ને સંબંધિત ચિંતાઓમાં ઘેરાયેલા લોકોને મદદ કરી શકાય અને લોકોને માહિતગાર કરવામાં અને ભય દૂર કરવાની દિશામાં અસરકારક પગલા લઈ શકાય.

સિંગાપોર, યુએઇ, જર્મની, અમેરિકા અને ચીન જેવા દેશોમાંથી પૂરતા પ્રમાણે ઓકસીજન, વેન્ટિલેટર સહિતના જરૂરી તમામ ઉપકરણો અને દવાઓ મંગાવવા જોઈએ અને જો મોટા પ્રમાણે આ વ્યવસ્થા ઉભી કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોઈ તો ગુજરાત અને દેશના મોટા ઉદ્યોગોનો મેનેજમેન્ટ માટે કે આર્થિક સહાય માટે મદદ લેવી જોઈએ.

હાલ આ કેટલાક સૂચનો આપની સમક્ષ મૂક્યા છે જેથી સર્વપક્ષીય બેઠક માં વિગતવાર સૌ પોતાના સૂચનો અને ફિડબેક આપી શકે અને તેના પરથી યોગ્ય દિશામાં તંત્રને આગળ વધવામાં સહેલાઈ રહે. ગુજરાતે અનેકો કુદરતી આપદાઓનો સામનો કર્યો છે અને તેને પાર પણ કર્યો છે, ત્યારે આજે જરૂર છે એક હૂંફની અને સુવ્યવસ્થિત વ્યવસ્થાની માટે સૌ એક થઈને કામ કરીશું તો નિશ્ચિતપણે આ મહમારીમાંથી પણ પાર થઈ જશું.

Scroll to Top