કોરોના મહામારીએ આખી દુનિયામાં ઘણા લોકોના સ્વજનનો છીનવી લીધા છે ત્યારે ભારતીય ક્રિકેટે પણ આ મહામારના કારણે પોતાનો એક પૂર્વ ક્રિકેટર ગુમાવ્યો છે. ખરેખરમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાસિંહ જાડેજાનું મંગળવારે કોવિડ-19 સંક્રમણના કારણે અવસાન થયું છે. તેઓ 69 વર્ષના હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ જાણકારી આપી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન શોકમાં
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાસિંહ જાડેજાના નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક વ્યક્તિ શોકમાં છે. તેઓ આજે વહેલી સવારે વલસાડમાં કોવિડ-19 સામે લડતા મૃત્યુ પામ્યા હતા,’ જામનગરના રહેવાસી અંબાપ્રતાસિંહ જાડેજા મધ્યમ ગતિના ઝડપી બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે 8 મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત ડીએસપી હતા.
જાડેજાએ આઠ રણજી મેચોમાં 11.11ની સરેરાશથી 100 રન બનાવ્યા હતા. ત્યાં જ બોલિંગમાં તેમણે 17 ની સરેરાશથી 10 વિકેટો લીધી હતી. તેમણે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી 8 રણજી ટ્રોફી મેચ રમી હતી.
કોરોનાનો બન્યા શિકાર
ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે શોક સંદેશમાં જણાવ્યું હતું કે,’અંબાપ્રતાસિંહજી એક અદ્ભુત ખેલાડી હતા અને મારી તેમની સાથે ક્રિકેટને લઇ ઘણી વખત વાતચીત થઈ હતી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે પણ ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરોના કોરોનાના કારણે મોત થયા હતા. જેમાં રાજસ્થાન તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર 36 વર્ષીય લેગ સ્પિનર વિવેક યાદવ સામેલ હતા.