ગણેશ ચતુર્થી 2021: આ રીતે ઘરે જ બનાવો ગણપતિદાદા ની ઇકોફ્રેન્ડલી મૂર્તિ

ગણેશોત્સવ પર્વ નિમિતે વિવિધ સંસ્થાઓ, મહોલ્લા, સોસાયટીઓમાં ગણેશ સ્થાપન માટે ઇકોફ્રેન્‍ડલી ગજાનંદની મૂર્તિ લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરીજનો પણ ઇકોફ્રેન્‍ડલી ગણેશોત્સવ મનાવવા માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે.

કોરોનાની સંભવીત ત્રીજી લહેરની આશંકાને લઈને આ વર્ષે ગાઈડલાઈનની અમલવારી સાથે સાર્વજનિક આયોજનોને મંજુરી અપાઈ છે. તેમ છતા સામુહિક કાર્યક્રમો યોજવા આયોજકોને મુશ્કેલી પડી શકે છે. જ્યારે 15 લોકોની હાજરીમાં પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરાશે. કોવિડ ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવું જરૂરી છે.

તેની સાથે ગણેશોત્‍સવ સહિતના અનેક તહેવારોમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરિસની મૂર્તિ પર રોક લગાવવામાં આવેલ છે. તો હવે ઘરે જ તમારી જાતે જ માટીમાંથી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવી નાખો.
ઘરે બનાવો આ રીતે ઈકો ફ્રેન્‍ડ્‍લી ગણપતિ :

સૌથી પહેલા વિશેષ પ્રકારની શાડુ માટી ખરીદો લો. ત્યારબાદ માટીને પાણી સાથે મેળવો, પરંતુ ધ્યાન રાખો કે માટી વધારે ભીની કે સુકી ના થઈ જાય. આસન બનાવવા માટે પ્લેટફોર્મ પર કાગળ રાખો કેમ કે માટી ચોટી ના જાય. ત્યાર બાદ તમારી કલ્પના અનુસાર આકાર આપો. ડીઝાઇન માટે કોઈ પુસ્તક કે ઈન્ટરનેટની સહાયતા તમે લઇ શકો છો.

માટીનો એક ઢગ લઈને પણ તેમાં ગણપતિની આકૃતિ બનાવી શકાશે. ગણપતિના હાથ – પગ, માથાને લગથી બનાવીને પણ જોડી શકાય છે. મૂર્તિ તૈયાર થયા બાદ તેને છાંયડામાં સુકાવા મૂકી દો. ત્યાર બાદ પ્રતિમામાં પોતાની કલ્પનાના રંગ ભરો અને ત્યારબાદ શૃંગાર કરીદો.

આ રીતે ઘરમાં જ ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને તેની પૂજા-અર્ચના કરો. આમ તો લોકો ગણપતિ બાપાને ઘરે લાવવા માટે બે મહિના પહેલા જ મૂર્તિઓનું બુકિંગ શરુ કરી નાખે છે. પરંતુ આ વખતે પર્યાવરણનું ધ્યાન રાખીને ઘણા બધા લોકો ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા પર જોર આપતા જોવા મળ્યા છે.

ગુજરાતમાં ગણેશજી મૂર્તિઓ મહદ અંશે પ્‍લાસ્‍ટર ઓફ પેરીસના ઉપયોગથી બનાવવામાં આવે છે. પ્‍લાસ્‍ટર ઓફ પેરીસની મૂર્તિઓમાં જીપ્‍સમ, સલ્‍ફર, ફોસ્‍ફરસ અને મેગ્‍નેશીયમ જેવા પદાર્થો હોય છે. જ્‍યારે રાસાયણિક રંગોમાં મર્ક્‍યુરી, લેડ, કેડમીયમ અને કાર્બન જેવા પદાર્થો રહેલા હોય છે.

તેની સાથે નદી-તળાવ કે દરિયામાં આ મૂર્તિ વિસર્જીત થતાં પાણી પ્રદૂષિત થતું હોય છે અને જલજ વનસ્‍પતિને પણ નુકશાન પહોંચે છે. પ્‍લાસ્‍ટર ઓફ પેરીસની મૂર્તિઓમાં ઉપયોગમાં લેવાતા રાસાણયિક રંગોના કારણે વિસર્જન સમયે પાણીના કુદરતી સ્ત્રોતોને પણ નુકસાન થાય છે. પાણીમાં પ્રદૂષણ ઉત્‍પન્ન થાય છે તેમજ આવા પ્રદૂષિત પાણીના કારણે ચર્મ રોગ સહિત કેટલાક રોગો પણ ઉભા છે. આમ પ્‍લાસ્‍ટર ઓફ પેરિસની મૂર્તિઓના વિસર્જનના કારણે પર્યાવરણને ધણું નુકશાન પહોંચે છે.

શ્રીગણેશજીને સૌ પ્રથમ પૂજવામાં આવે છે. બુદ્ધિમાન છે. તે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં ગણેશજીના કથાનકમાંથી યુવાનોએ ઘણું શીખવા જેવું છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહેવાય છે.

Scroll to Top