તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો અને અનેક ભાગોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં પણ પ્રિ-મોનસુન એક્ટિવિટીનાં કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું આગમન વહેલું થવાનું છે. રાજ્યમાં ચોમાસું શરુ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો 15 જૂનથી 20 જૂનની વચ્ચે નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે આ વખતનાં ચોમાસા અંગે શું કહ્યું તે વિશે ચાલો આપણે જાણીએ.
આ વખતનાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે આગામી ચોમાસાની આગાહી કરતા કહ્યુ છે કે, આગામી ચોમાસું ઘણું સારું રહે તેવી શક્યતા રહેલી છે. કેમકે, આ વખતે રોહિણી નક્ષત્રનો યોગ રહેલો છે. જેથી નિયમિત વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં 98 થી 101 ટકા વરસાદ, ઘણાં ભાગોમાં 100 ટકા વરસાદ થવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાત અને આજુબાજુનાં ભાગોમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા રહેલી છે. એટલે કે ગુજરાતમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા રહેલી છે અને ચોમાસું સારું રહેવાની શક્યતા રહેલી છે.
ખેડૂતો માટે કેવો વરસાદ રહેશે તેના સવાલમાં પર તેમણે કહ્યું છે કે, ખેડૂતો માટે પણ વરસાદ સારો રહેવાની શક્યતા રહેલી છે. આ વરસાદ રવિ પાકો માટે સારો રહે તેવી શક્યતાઓ રહેલી છે. રાજ્યનાં વિવિધ ભાગોમાં એકાએક ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં ભાગમાં 14-15 જૂનથી વરસાદ શરૂ થશે અને તેનાથી વાવણી પણ શરૂ થઇ જશે. આ સિવાય મુંબઇમાં 9, 10 અને 11 જૂનનાં રોજ વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું હતું. ગયા વર્ષે ગુજરાતમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો અને ચોમાસું પણ સરખામણીમાં ઘણું સારું રહ્યું હતું. તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો 45.74 ઈંચ સાથે સીઝનનો 282.08 ટકા વરસાદ વરસ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે 68.11 ઈંચ વરસાદ પણ નોંધાયો હતો. આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવી શક્યતા જોવા મળી રહી છે.